સંકેત પંડ્યા – એડિટર
ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી આદિત્યનાથ યોગીજીએ આજરોજ પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સી. કે. રાઉલજીના સમર્થનમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી આદિત્યનાથ યોગીએ રોડ શો યોજ્યો હતો. આ સમગ્ર રોડ શો દરમ્યાન વિશાળ સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને શહેરીજનો જોડાયા હતાં. ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સી. કે. રાઉલજીના સમર્થનમાં યોજવામાં આવેલ રોડ શોને ગોધરાની જનતા જનાર્દને અભૂતપૂર્વ પ્રતિસાદ આપ્યો હતો.
ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સી. કે. રાઉલજીના સમર્થનમાં યોજાયેલ રોડ શો પૂર્ણ થયા બાદ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી આદિત્યનાથ યોગીજી એક વિશાળ જનસભાને સંબોધતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં ૫૦૦ વર્ષો પછી શક્તિપીઠ પાવાગઢ ઉપર પહેલી વાર ધ્વજ ફરકાઇ રહી છે તે જનતા જનાર્દનની અને ભારતની આસ્થાનું પ્રતીક છે. ગુજરાત અનેક મુશ્કેલીઓમાંથી પસાર થઇ દેશને પ્રેરણા આપવાનુ કાર્ય કર્યુ છે. ગુજરાતની ધરા એ મહાનુભાવોની ધરા છે. આવા મહાનુભાવો સામે ધુરંધરોએ નાક રગડવું પડ્યું છે. કોંગ્રેસના ભ્રષ્ટ અને વિશ્વાસઘાતની રાજનીતિથી કંટાળી જઇ દેશની જનતાએ શ્રી નરેન્દ્રભાઇ મોદીને દેશની કમાન સોંપી હતી ત્યારે છેલ્લા ૮ વર્ષથી વિવિધ નવતર પ્રયોગો થકી ગુજરાત અને દેશને વિશ્વ ફલક ઉપર સ્થાપિત કરી દીધો છે.
આદિત્યનાથ યોગીજી વધુમાં જણાવ્યું હતું કે, વર્ષોથી ભારત ઉપર શાસન કરનાર બ્રિટનને પછડી આર્થિક રીતે પાંચમાં નંબરે આવી ગયું છે. શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ અને શ્રી અમિતભાઇ શાહ સાહેબની જોડીએ દેશની સરહદોને સુરક્ષીત કરી દિધી છે. આજે કોઇ આતંકવાદી કે આતંકવાદીઓના આકા દેશ કે ગુજરાત ઉપર આંખ ઉંચી કરવાની હિંમત કરી શકતું નથી. કાશ્મીરમાંથી કલમ ૩૭૦ને એક ઝાટકે હટવી દીધી છે. વર્ષોથી અયોધ્યામાં લટકી રહેલું ભગવાન શ્રીરામનું મંદિર ખૂબ જ ટૂંકા ગાળામાં નિર્માણ પામવાનું છે. કોરોનાના કાળમાં દેશની જનતાને ફ્રીમાં ટેસ્ટ, ફ્રીમાં રશીકરણ, ફ્રીમાં રેશન આપવાનું કામ કરવામાં આવ્યું છે. આજે સમગ્ર સર્વે ગુજરાતમાં ફરીથી ભારતીય જનતા પાર્ટીની સરકાર બનવાની છે તેવું કહે છે અને તેમાં કોઇ શંકા નથી. પરંતુ અમારે તો સૌથી વધુ કમળ સૌથી વધુ લીડથી ગુજરાત વિધાનસભામાં જોવા માંગીએ છીએ. કોંગ્રેસ રૂપી બિમારીને મૂળમાંથી કાઢી નાંખવા માટે દેશના યશસ્વી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના હાથ મજબૂત કરવા માટે ગુજરાતમાં શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વવાળી સરકાર રચવા મતદાનના દિવસે ૧૦૦ ટકા મતદાન કરવા અપીલ કરી હતી.
આદિત્યનાથ યોગીજીના આ રોડ શો અને જનસભા દરમ્યાન ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ અશ્વિનભાઇ પટેલ, રાજેશભાઇ પટેલ,સંયુક્તાબેન મોદી, દિલીપભાઇ દેસાઇ, સરદારસિંગ પટેલ, શ્રી સંજયભાઇ સોની તેમજ વિશાળ સંખ્યામાં જનમેદની ઉપસ્થિત રહી હતી.

