સંકેત પંડ્યા – એડિટર
ઘોઘંબા તાલુકાના માલુ ગ્રામ પંચાયતના સરપંચ સામે ચૂંટાયેલા સભ્યોએ અસંતોષ વ્યક્ત કરતા પંચાયતના 9 સભ્યોએ સરપંચ વિરોધ અવિશ્વાસની દરખાસ્ત ઉપર સહી કરતા ઘોઘંબા તાલુકાના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. માલુ ગ્રામ પંચાયતના સરપંચ મીનાબેન પટેલિયા સામે પહેલેથી જ વિવાદ ચાલી રહ્યો છે. અનામત બેઠક ઉપર ખોટા જાતિના દાખલા સાથે ચૂંટણી લડ્યા હોવાના આરોપ સાથે તેઓની સામે અગાઉ પણ વિરોધ નોંધાવવામાં આવ્યો હતો અને સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે આ અંગેની પેન્ડિંગ કોર્ટ મેટર પણ ચાલી રહી છે ત્યારે ફરી વખત પંચાયતના ચૂંટાયેલા 10 પૈકી 9 સભ્યોએ સરપંચ સામે તેમજ સરપંચની કામગીરી સામે અસંતોષ વ્યક્ત કર્યો છે.

સભ્યોએ આરોપ લગાવ્યો હતો કે સરપંચ દ્વારા મનસ્વી વર્તન કરવામાં આવે છે તેમજ પોતાની રીતે નિર્ણયો લેવામાં આવે છે. સભ્યોને વિશ્વાસમાં લીધા સિવાય પોતાના મળતીયાઓને સરકારી યોજનાઓના લાભ આપી રહ્યા હોય તેવા આક્ષેપો લગાવવામાં આવી રહ્યા છે. તમામ નવ સભ્યોએ સરપંચ સામે અવિશ્વાસની દરખાસ્ત તાલુકા પંચાયત કચેરી ઘોઘંબા ખાતે આપતા ખળભળાટ મચી જવા પામી છે.

