સંકેત પંડ્યા – એડિટર
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની જમ્મુ-કાશ્મીર મુલાકાતને કારણે વિધાનસભા ચૂંટણીની ચર્ચા ફરી એકવાર તેજ બની છે. સીમાંકન પૂર્ણ થયા બાદ જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણી પંચે વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે.
પ્રદેશમાં ચૂંટણીના મુદ્દે, ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે જમ્મુ અને કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણીઓ ચૂંટણી પંચ દ્વારા સુધારેલી મતદાર યાદીના પ્રકાશનની કવાયત પૂર્ણ કર્યા પછી યોજવામાં આવશે. તેમણે કહ્યું કે અમે રાજકીય પ્રક્રિયા શરૂ કરી દીધી છે. હું તમને ખાતરી આપવા માંગુ છું કે એકવાર ચૂંટણી પંચ મતદાર યાદીના પ્રકાશનનું કામ પૂર્ણ કરી લેશે, ચૂંટણી સંપૂર્ણ પારદર્શિતા સાથે હાથ ધરવામાં આવશે અને તમારા પોતાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ અહીં શાસન કરશે.
હવે સવાલ એ થાય છે કે જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણી ક્યારે થશે. કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરમાં આવતા વર્ષે ફેબ્રુઆરી મહિના પછી જ ચૂંટણી શક્ય છે. હકીકતમાં, ઠંડીની મોસમમાં હિમવર્ષાના કારણે જમ્મુ-કાશ્મીરમાં ડિસેમ્બર, જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનામાં ચૂંટણી યોજવી અશક્ય છે, તેથી જ જો ઓક્ટોબર, નવેમ્બરમાં ચૂંટણી નહીં થાય તો ફેબ્રુઆરી પછી એટલે કે માર્ચમાં કે એ પછી જ ચૂંટણી યોજાશે.
જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ
જમ્મુ અને કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીની તૈયારીઓને ધ્યાનમાં રાખીને, ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM) અને વોટર વેરિફાઈડ પેપર ઓડિટ ટ્રેલ (VVPAT)નું પ્રથમ સ્તરનું વેરિફિકેશન (FLC) કરવામાં આવશે. ઘાટીના તમામ 10 જિલ્લાના ડેપ્યુટી કમિશનરો અને ભારતના ચૂંટણી પંચની ટીમ વર્કશોપમાં ભાગ લેશે. એક અધિકારીએ જણાવ્યું કે વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ ચાલી રહી છે. જો કે ચૂંટણીની તારીખ ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવશે. જમ્મુ-કાશ્મીરમાં નવેમ્બર 2018થી વિધાનસભા નથી. પીડીપી-ભાજપ ગઠબંધન સરકારના પતન પછી તત્કાલીન રાજ્યપાલ સત્યપાલ મલિકે વિધાનસભા ભંગ કરી દીધી હતી.
વિધાનસભાની ચૂંટણીની તૈયારી કરી રહ્યું છે ચૂંટણી પંચ
કેન્દ્ર અને લેફ્ટનન્ટ ગવર્નરનું વહીવટીતંત્ર કહી રહ્યું છે કે સીમાંકન અને અન્ય ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આ કેન્દ્રશાસિત પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજવામાં આવશે. આ વર્ષે મતવિસ્તારોની સીમાંકન પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે અને ચૂંટણી પંચે ગયા મહિને મતદાર યાદીની સુધારણાની કામગીરી શરૂ કરી છે. વર્ષ 2019માં જમ્મુ-કાશ્મીરનો વિશેષ દરજ્જો નાબૂદ થયા બાદ આ પ્રક્રિયા પ્રથમ વખત કરવામાં આવી રહી છે.
સુધારેલી મતદાર યાદી 31 ઓક્ટોબર સુધીમાં જારી થવાની શક્યતા
અધિકારીઓએ જણાવ્યું કે મતદાર યાદી સુધારણાની કામગીરી પૂર્ણ થયા બાદ ચૂંટણી યોજાઈ શકે તેવા સંકેતો છે. તેમણે કહ્યું કે આ માટેની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. અધિકારીએ કહ્યું, “સીમાંકન પૂર્ણ થઈ ગયું છે. મતદાર યાદી સુધારણાની કામગીરી ચાલી રહી છે અને તે ટૂંક સમયમાં પૂર્ણ થવાની ધારણા છે. ચૂંટણી પંચે સુધારેલી મતદાર યાદી બહાર પાડવાની અંતિમ તારીખ 31 ઓક્ટોબર નક્કી કરી છે. મતદાન મથકોનું ‘રેશનલાઇઝેશન’ પણ કરવામાં આવી રહ્યું છે અને આ મહિને પૂર્ણ થવાની અપેક્ષા છે.
સીમાંકન પછી જમ્મુ અને કાશ્મીરમાં બેઠકોની સ્થિતિ શું છે?
હકીકતમાં, હાલમાં જ 26 મહિનાની કવાયત બાદ જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા અને લોકસભા સીટોનું સીમાંકન કરવામાં આવ્યું છે. જમ્મુ અને કાશ્મીરમાં કુલ 90 વિધાનસભા બેઠકો છે અને પ્રથમ વખત 9 બેઠકો અનુસૂચિત જનજાતિ માટે અનામત રાખવામાં આવી છે. આ સિવાય પહેલીવાર જમ્મુ-કાશ્મીરની તમામ 5 લોકસભા સીટોમાં સમાન 18-18 વિધાનસભા સીટો રાખવામાં આવી છે. એટલે કે એક લોકસભા મતવિસ્તારની સીમામાં 18 વિધાનસભા બેઠકો હશે. જમ્મુ ક્ષેત્રમાં 43 અને કાશ્મીર ક્ષેત્રમાં 47 બેઠકો છે. કોઈપણ એક વિધાનસભા મત વિસ્તારની સીમાને એક કરતા વધુ જિલ્લામાં રાખવામાં આવી નથી.

