સંકેત પંડ્યા – એડિટર
રાજ્યભરમાં રખડતાં ઢોરોની સમસ્યાને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. રસ્તે રખડતાં ઢોરને કારણે અનેક વખત ગંભીર અકસ્માત સર્જાતો હોય છે. કેટલીક વખત લોકોને જીવ ગુમાવવાનો પણ વારો આવતો હોય છે ત્યારે જે સમસ્યાથી રાજ્યના લોકો ત્રાહીમાંમ પોકારી રહ્યા છે. તેનો આજે રાજકીય નેતાને પણ અનુભવ થયો છે. આજે પૂર્વ મંત્રી નીતિન પટેલને રખડતાં ઢોરે અડફેટે લીધા છે. જેને પગલે નીતિન પટેલના ઢીંચણના ભારે ઈજા પહોંચી હોવાનું જાણવા મળી રહ્યું છે.
આજે કડી ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત તિરંગા યાત્રા યોજાઈ હતી. જેમાં ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ હાજર રહ્યા હતા. આ તિરંગા યાત્રા દરમિયાન કડીના કરણપુર શાક માર્કેટ પાસે એક ગાયે નીતિન પટેલને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. મહત્વનું છે કે ઢોરની ટક્કરને કારણે નીતિન પટેલને ઢીંચણના ભાગે ઈજા પહોંચી હતી. જેથી તેઓને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
ગાયની ટક્કરથી ઈજાગ્રસ્ત થયેલા નીતિન પટેલને હોસ્પિટલમાં દાખલ કરવાની ફરજ પડી હતી. જોકે સારવાર લીધા બાદ પૂર્વ મંત્રી નીતિન પટેલ અમદાવાદ જવા રવાના થઈ ગયા હોવાનું જાણવા મળી રહ્યું છે. ત્યારે રખડતાં ઢોરની સમસ્યાથી આજે નેતા પણ બાકાત રહ્યા નથી ત્યારે લોકમુખે ચર્ચાઓ થઇ રહી છે કે ગુજરાત સરકાર રાજ્યની સરકારી હોસ્પિટલો અધ્યતન બનાવી હોવાના દાવાઓ કરી રહી છે તો પછી ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે કેમ જવુ પડ્યું ??

