સંકેત પંડ્યા – એડિટર
વડોદરા શહેરના દુમાડ ચોકડી પાસે હાઈવે પર પોલીસને એક 45 વર્ષીય પુરુષની લાશ મળી હતી. જેના બાદ પોલીસ દ્વારા તેની ઓળખ કરવા માટે તેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ કરી હતી. આ તસવીર વાઘોડિયા સોમેશ્વપુરા ગામમા રહેતા શનાભાઈએ જોઈ હતી. તેમણે પોલીસને જણાવ્યુ કે લાશ તેમના દીકરા સંજયની છે. સંજય મૃત પામ્યો છે તે જાણીને પરિવાર પર આભ તૂટી પડ્યુ હતું. પરિવારે ભારે હૃદયે સંજયના અંતિમ સંસ્કાર કર્યા હતા. સ્મશાન ગૃહમાં મુખાગ્નિ આપીને પરિવાર ઘરે આવ્યો હતો. બપોરે અંતિમ સંસ્કાર કર્યા, અને સાંજે એ જ દીકરો સંજય જીવતેજીવ પાછો આવ્યો હતો.
સંજયને પોતાના બે પગ પર ઉભો જોઈને પરિવાર સ્તબ્ધ થઈ ગયો હતો. ઘડીક તો સૂઝબૂઝ ગુમાવી ચૂકી હતી. પહેલા તો કંઈ સમજાયુ નહિ. પરંતુ બાદમાં જ્યારે સમજ પડી તો વિચાર આવ્યો કે આવુ થઈ જ કેવી રીતે શકે. જેના અંતિમ સંસ્કાર કર્યા તે દીકરો કેવી રીતે જીવતો પાછો આવી શકે. પરંતુ સંજય જીવતો છે તે સમજાઈ જતા જ પરિવારમા હરખ સમાયો ન હતો.

જેની લાશ સમજીને પિતાએ ઓળખ કરી હતી તે મૃતદેહ અને સંજય વચ્ચે ઘણી સામ્યતા હતી. દેખાવ, શરીરનો બાંધો, ઉંમર લગભગ સરખા જ હતા. જેથી પરિવાર પણ દીકરાને ઓળખવામાં થાપ ખાઈ ગયો. આમ, પરિવારને પોતાની ભૂલ સમજાતા તેઓ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. પોલીસ અધિકારીઓને આ વિશેની જાણ કરી હતી. વધુ તપાસ ચાલુ છે.

