સંકેત પંડ્યા – એડિટર
વડોદરા ખાતે 18 મી જૂનના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવી રહ્યા છે અને સાથે સાથે લેપ્રસી ગ્રાઉન્ડમાં મોટી જનમેદનીને સંબોધન કરશે. આ અંગેની તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. ત્યારે આજે સવારે પીએમ મોદીનું 71 ફુંટ ઉંચુ લગાડવામાં આવેલું કટાઉટ સાંજ ઢળે તે પહેલા જ ફાટી ગયું છે. જેને કારણે તંત્ર દ્વારા કરવામાં આવતી હલકી ગુણવત્તાની પોલ ખુલી જવા પામી છે.

18 જૂનના રોજ પીએમ મોદીને આવકારવા માટે વડોદરા થનગની રહ્યું છે. જનસભા છે ત્યાં રોડ, રસ્તા અને સ્વચ્છતાની પુરતી તૈયારીઓ પુર્ણ કરી દેવામાં આવી છે. ત્યારે પીએમ મોદીના લેપ્રસી ગ્રાઉન્ડ સ્થિત સભા સ્થળ બહાર 71 ફુટ ઉંચું કટાઉટ મુકવામાં આવ્યું છે. આજે સવારે મેયરે વિવિધ જગ્યાઓ પર કરવામાં આવેલી રંગોળી અને કટાઉટનું નિરીક્ષણ કર્યું હતું. જો કે આ કટાઉટ મુકે 24 કલાક પણ ટક્યુ નહી. સાંજે 4 : 25 ની આસપાસ કટાઉટનો ઉપરનો ભાગ ફાટી ગયો હોવાનું ધ્યાને આવ્યું છે.

આ કટાઉટ ચાર રસ્તા પર મુકવામાં આવ્યું છે. કટાઉટની ફરતે ફ્રેમ બનાવીને મુકવામાં આવ્યું છે. પરંતુ પવનના જોરના કારણે અથવાતો અન્ય કારણોસર કટાઉટ ફાટી જવાને કારણે પાલિકાની કામગીરી સામે અનેક સવાલો ઉઠ્યા છે. સ્થાનિકોના મતે આટલું મોટું માળખું બનાવતી વખતે ચોમાસાની સ્થિતી ધ્યાનમાં રાખવી જરૂરી છે. શનિવારે 5 લાખ લોકો પીએમ મોદીની સભામાં હાજર રહેશે તેવા દાવાઓ કરવામાં આવી રહ્યા છે. તેવામાં સારૂ દેખાડવા માટે તૈયાર કરવામાં આવેલું પોસ્ટર ફાટી જવાથી મજાકનો વિષય બની જવાય તેમ નકારી શકાય નહિ. હવે આ માળખા પર નવું પોસ્ટર લાગે છે કે બીજું કંઇક થાય છે તે જોવું રસપ્રદ છે.

