પંકજ પંડિત
ઝાલોદ નગરપાલિકામા રહેતા રહીશો તેમજ નગરમાં કામગીરી માટે આવતા વ્યક્તિઓને ઘણા સમયથી એક મોટો પ્રશ્ન સતાવી રહેલ હતો કે રસ્તામાં જ્યાં ત્યાં રખડતા પશુઓ અડીંગો જમાવી બેસી જતાં જેને લઈ નગરમાં અવારનવાર ટ્રાફિક સમસ્યાનો સામનો કરવો પડતો હતો. ઘણી વાર રખડતા પશુઓ રસ્તા પર બેસી રહેતા હોવાથી પશુઓના અકસ્માતમા ગંભીર ઈજાઓ થઈ હોય તેવું પણ જાણવા મળેલ હતું.ઝાલોદ નગરપાલિકા વિસ્તારમાં પાલિકા દ્વારા રખડતા ઢોરના માલિકોને રસ્તાઓ પર જ્યા ત્યાં ન છોડવા નગરમાં માઈક ફેરવી તેમજ સોશિયલ મીડિયાઓમા મેસેજ છોડી ચેતવણી આપવામાં આવી હતી. પાલિકા દ્વારા પશુ માલિકોને ચેતવણી આપતાં કહ્યું હતું કે જો પશુ માલિકો તેઓના પશુઓની કાળજી નહીં રાખે અને રસ્તા પર ખુલ્લા છોડી મુકશે તો રસ્તા પર રખડતા પશુઓને પાંજરાપોળમા મોકલાવી દેવામાં આવશે અને પાંજરાપોળ ખાતે જો પશુ માલિક પોતાના પશુ લેવા જશે તો પશુ તેનું જ છે તેની ખાતરી આપી દંડ ભરી પશુ તેના માલિકને સોપવામાં આવનાર છે. પાલિકા દ્વારા 03-09-2025 ના રોજ રાત્રી દરમિયાન રખડતા પશુઓને પશુવાનમા ભરવાની કામગીરી આરંભી હતી. રાત્રિ દરમ્યાન અંદાજીત સાત જેટલા ગૌવંશને જાહેર રસ્તા પર રખડતા પકડી લેવામાં આવ્યા હતા. જાણવા મળેલ સૂત્રો મુજબ આ પશુવાનમા પકડવામાં આવેલ ગૌ વંશને માંડલીખૂંટા મુકામે આવેલ પાંજરાપોળમા મોકલી આપવામાં આવેલ છે. નગરપાલિકાની આ સુંદર અને સરાહનીય કામગીરીને નગરજનોએ સરાહી હતી.

