સંકેત પંડ્યા – જર્નાલિસ્ટ
છેલ્લા 3 વર્ષમાં કેન્દ્ર સરકાર તરફથી આ યોજના માટે 7,500 કરોડ રૂપિયા મળ્યા પણ ગુજરાતની સાચી જમીની હકીકત શું છે ? તો ઘરે ઘરે લોકોને નળથી જળ તો ના મળ્યું, નળ આયા પણ ક્યાંય નળમાં જળ ના આવ્યું, “પણ આ નળથી છળ મળ્યું”
વાત કરીએ મહીસાગર જીલ્લાની તો પાણી પુરવઠા બોર્ડ અને વાસ્મો કચેરીના આદેશથી કાર્યપાલક ઇજનેર અને નાયબ કાર્યપાલક ઇજનેરની ટીમો ટેકનિકલ તપાસણી અર્થે મહિસાગર જિલ્લામાં ધામા નાખતા કોન્ટ્રાક્ટર અને એજન્સીમાં પુન: ફફડાટ ફેલાયો છે. મહીસાગર જિલ્લામાં નલ સે જલ યોજનામાં વીજીલન્સ ટીમની તપાસ બાદ વાસ્મો કચેરીના યુનિટ મેનેજર ગિરીશ અગોરા દ્વારા કડક કાર્યવાહી કરાતા ભ્રષ્ટાચારી કોન્ટ્રાક્ટરોને બ્લેક લિસ્ટ કરવામાં આવ્યા છે. કેટલાક ગામોમાં વાસ્મો યોજનામાં કોન્ટ્રાક્ટરો અને એજન્સીઓ દ્વારા કામ પૂર્ણ કરેલ નથી અને બોગસ બીલો બનાવી 259 કરોડ રૂપિયા સરકારની તિજોરીમાંથી ગ્રામ પંચાયત પાણી સમિતિના સહયોગથી ઉઠાવી લેવામાં આવ્યા છે.મહીસાગર જિલ્લા કચેરી વાસ્મો દ્વારા ભ્રષ્ટાચારના પગલે યુનિટ મેનેજર ગીરીશભાઈ અગોલા દ્વારા યુનિટ ટીમો બનાવી ખાતાકીય તપાસ કરાતા રિપોર્ટ ગાંધીનગર ખાતે કરવામાં આવેલ હતો. ત્યારબાદ ગાંધીનગર પાણી પુરવઠા બોર્ડના આદેશથી મહીસાગર જિલ્લામાં વિજિલન્સ ટીમની તપાસણી બાદ કાર્યપાલક ઇજનેર અને નાયબ કાર્યપાલક ઇજનેરની ટીમો ટેકનિકલ તપાસણી અર્થે મહીસાગર જિલ્લામાં ગામેગામ ઉતરી પડી છે.આ ટીમો દ્વારા તપાસણીના આદેશથી જેસીબી દ્વારા ખાડા ખોદી પાઇપો તેમજ ખોટી કામગીરી અંગેની પૂર્ણ ચકાસણી કરવામાં આવી રહી છે.તપાસણી કર્યા પછી ટીમો દ્વારા જે તે રિપોર્ટ કરી યુનિટ મેનેજર અને ગાંધીનગર ખાતે રિપોર્ટ મોકલશે. રિપોર્ટના આધારે જે કામગીરી બંધ કરી છે તેની તપાસ કરી નવેસરથી કામગીરી સોંપણી કરવામાં આવશે અને જ્યાં અધૂરી છે તે કામગીરી પુનઃ ચાલુ કરવામાં આવશે. ખોટા બિલો મૂકી ડુપ્લીકેટ પાઈપો લાવી આઈએસઆઈ માર્કા લગાવી જમીનની નીચે ધરબી દેવામાં આવી છે. તેની ન્યાયિક તપાસ કરી યોગ્ય રિપોર્ટ વડી કચેરીએ મોકલવામાં આવે તો વધુ એક ભ્રષ્ટાચારનો પોપડો નલ સે જલમાં ખૂલવા પામે તેમ છે.

