પ્રાપ્ત માહિતિ પ્રમાણે હોમ લોન અને કાર લોનની વધતી જતી EMIને કારણે લોકોના ખિસ્સા પર અસર કરે છે એવામા તમારા માટે સારા સમાચાર સામે આવ્યા છે. જણાવી દઈએ કે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)એ મોનેટરી પોલિસી કમિટી (MPC)ની પ્રથમ બેઠકમાં રેપો રેટમાં કોઈ ફેરફાર નહીં કરવાનો નિર્ણય લીધો છે.
એટલે કે હજુ પણ રેપો રેટનો દર 6.50% પર જ રહેશે. મીટિંગ પહેલા અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું કે આરબીઆઈ વ્યાજ દરમાં 0.25%નો વધારો કરી શકે છે. આરબીઆઈની આ જાહેરાતના કારણે બજારમાં તેજી જોવા મળી રહી છે. ત્રણ દિવસથી ચાલી રહેલી આરબીઆઈની મોનિટરિંગ પોલિસી કમિટીની બેઠક બાદ આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે મોંઘવારી પર અંકુશ મેળવવા માટે રેપો રેટ વધારવાનો કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. સરકારે છેલ્લે 8 ફેબ્રુઆરી, 2023 ના રોજ નાણાકીય વર્ષ 2022-23 માટે રેપો રેટમાં વધારો કર્યો હતો.

