વિદ્યાર્થીઓને પ્રકૃતિની સુંદરતાનો અનુભવ થાય તેમજ તેઓ ગમ્મત દ્વારા રમતાં રમતાં આનંદદાયી શિક્ષણ મેળવે તે હેતુથી દાહોદ તાલુકાની દેસાઈવાડા પ્રાથમિક શાળામાં 26 જુલાઈ, શનિવારનાં રોજ વન ભોજનનું આયોજન કરવામાં આવ્યું. દાહોદ શહેરમાં ચાકલિયા ચોકડી નજીક આવેલ વાડીની મુલાકાતે વિદ્યાર્થીઓને લઈ જવામાં આવ્યાં. મુલાકાત માટે ધોરણ 5 થી 8 નાં વિદ્યાર્થીઓને પસંદ કરવામાં આવ્યાં હતાં. વાડીમાં પહોંચીને સૌપ્રથમ વિદ્યાર્થીઓને શાળાની શિક્ષિકા બહેનો શ્રીમતી નીલમબેન જાદવ અને દર્શનાબેન પરમાર દ્વારા વિવિધ આનંદદાયી રમતો રમાડવામાં આવી. વિદ્યાર્થીઓને નવી-નવી રમતો રમવાની ખૂબ જ મજા આવી. ત્યાર પછી વિદ્યાર્થીઓને શાળાનાં વિજ્ઞાન શિક્ષક દર્શનાબેન પરમાર દ્વારા પર્ણો અને વૃક્ષો વિશે વિસ્તૃત સમજ આપવામાં આવી. વિદ્યાર્થીઓને પ્રકૃતિનાં ખોળે સેવ-પૌઆ અને સુખડીનુ ભોજન કરાવવામાં આવ્યું. બધા વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ સમૂહમાં ભોજનનો આનંદ માણ્યો. ત્યાર પછી વિદ્યાર્થીઓને લાઈનમાં નજીક આવેલી તાલુકા કુમાર શાળા જે સ્માર્ટ સ્કૂલ તરીકે ડેવલપ કરવામાં આવી છે તે બતાવવા માટે લઈ જવામાં આવ્યાં. એક સરકારી શાળા શ્રેષ્ઠ શાળાનું ઉદાહરણ વિદ્યાર્થીઓ સમક્ષ રજૂ કરવામાં આવ્યું. તાલુકા કુમાર શાળાની મુલાકાત લઈ વિદ્યાર્થીઓ પરત શાળાએ લાવવામાં આવ્યાં. આ રીતે વિદ્યાર્થીઓએ આનંદદાયી શનિવારની મજા માણી.

