સંકેત પંડ્યા – એડિટર
ભારતના વિદેશમંત્રી એસ જયશંકરે ગુરુવારે કહ્યું હતું કે વિશ્વ પાકિસ્તાનને આતંકવાદના ‘કેન્દ્ર’ તરીકે જુએ છે અને પાકિસ્તાને તેની હરકતો સુધારવી જોઈએ અને સારા પાડોશી બનવાનો પ્રયાસ કરવો જોઈએ. વિદેશ મંત્રી જયશંકરે ભારતના પડોશી દેશ પર અમેરિકન નેતા હિલેરી ક્લિન્ટનના નિવેદનનું પુનરાવર્તન કર્યું, જેમાં તેમણે કહ્યું હતું કે જે લોકો પોતાના આંગણામાં સાપ રાખે છે, તે એક દિવસ તેમને કરડી ખાય છે. ભારતના વિદેશ મંત્રી જયશંકરે પાકિસ્તાનના વિદેશ રાજ્ય મંત્રી હિના રબ્બાની ખારના આતંકવાદના આરોપો પર વળતો જવાબ આપ્યો છે.
ભારતની અધ્યક્ષતામાં આયોજિત સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના કાર્યક્રમ ‘ગ્લોબલ કાઉન્ટર ટેરરિઝમ એપ્રોચઃ ચેલેન્જ એન્ડ વે ફોરવર્ડ’ બાદ પત્રકારો સાથેની વાતચીત દરમિયાન જયશંકરે ઉપરોક્ત ટિપ્પણી કરી હતી. પાકિસ્તાનના વિદેશ રાજ્ય મંત્રી હિના રબ્બાની ખારના તાજેતરના આરોપ અંગે જયશંકરને પૂછવામાં આવ્યું હતું. એક પ્રશ્નનો જવાબ આપી રહ્યા હતા. હિના રબ્બાનીએ આરોપ લગાવ્યો હતો કે ‘આતંકવાદનો ઉપયોગ ભારતથી વધુ સારી રીતે અન્ય કોઈ દેશે કર્યો નથી’.
હિલેરી ક્લિન્ટનના નિવેદનથી કર્યો પાકિસ્તાન પર વાર
જયશંકરે કહ્યું, ‘ખારે જે કહ્યું તેનાથી સંબંધિત સમાચાર મેં જોયા છે. જ્યાં સુધી મને યાદ છે, લગભગ એક દાયકાથી પણ પહેલા જયારે હિલેરી ક્લિન્ટન પાકિસ્તાનની મુલાકાતે ગયા હતા. ત્યારે હિના રબ્બાની મંત્રી હતા. તેમની સાથે ઉભા રહીને હિલેરી ક્લિન્ટને કહ્યું હતું કે જો સાપ તમારા આંગણામાં છે તો તમે એની પાસેથી એવી અપેક્ષા રાખી શકતા નથી કે તે તમારા પાડોશીને જ ડંખ મારે. આખરે તેને આંગણામાં રાખનારા લોકોને પણ તે ડંખ મારશે, પરંતુ જેમ તમે જાણો છો, પાકિસ્તાન સારી સલાહ જલ્દી માનતું નથી. તમને ખબર છે ત્યાં શું થઈ રહ્યું છે.’
ક્લિન્ટને ઓક્ટોબર 2011માં તેમની ઈસ્લામાબાદની મુલાકાત દરમિયાન, પાકિસ્તાનના તત્કાલિન વિદેશ મંત્રી ખાર સાથે મીડિયાને સંબોધતા કહ્યું હતું કે, “આ પેલી જૂની વાર્તા જેવું છે… તમે તમારા આંગણામાં સાપ રાખીને એ અપેક્ષા ન રાખી શકો છો કે તે ફક્ત તમારા પડોશીઓને ડંખ મારશે. આખરે, આ સાપ તેમને આંગણામાં રાખનારાઓને પણ ડંખ મારશે.’ જયશંકરે કહ્યું, ‘…વિશ્વ આજે તેમને (પાકિસ્તાન) આતંકવાદના કેન્દ્ર તરીકે જુએ છે. હું જાણું છું કે અમે અઢી વર્ષથી કોવિડ-19 (રોગચાળો) સામે લડી રહ્યા છીએ અને તેના કારણે યાદો થોડી ધૂંધળી થઈ ગઈ છે પણ હું તમને ખાતરી આપું છું કે દુનિયા એ નથી ભૂલી કે આતંકવાદની શરૂઆત ક્યાંથી થાય છે અને પ્રદેશમાં અને પ્રદેશની બહાર તમામ પ્રવૃત્તિઓ પર કોની છાપ જોવા મળે છે.’
પાકિસ્તાની મંત્રીએ ભારત પર ડોઝિયર જાહેર કર્યું
ભારતના વિદેશ મંત્રી જયશંકરે કહ્યું કે, તેમણે કોઈપણ પ્રકારની ગેરસમજમાં જીવતા પહેલા પોતાને આ વાત યાદ અપાવવી જોઈએ. જણાવી દઈએ કે એક ‘ડોઝિયર’ શેર કરતી વખતે પાકિસ્તાને ગયા વર્ષે 23 જૂને લાહોરમાં મુંબઈ આતંકી હુમલાના માસ્ટરમાઇન્ડ હાફિઝ સઈદના ઘરની બહાર થયેલા બ્લાસ્ટમાં ભારતની સંડોવણીનો આરોપ લગાવ્યો હતો.

