સંકેત પંડ્યા – એડિટર
કાલોલ – ડેરોલ સ્ટેશન વચ્ચે તૈયાર થયેલા રેલવે ગરનાળાનું ઉદ્ઘાટન બુધવારે સવારે સ્થાનિક લોકોએ એક મૂકબધિર કિશોરને હાથે કરાવીને ગરનાળું અવરજવર માટે ખુલ્લું કરી દેવામાં આવતા ગરનાળાના ઉદ્દઘાટન કરવા અને રિબિન કાપવાની રાહ જોતા રહેલા કાલોલ તાલુકાના ભાજપના કહેવાતા અગ્રણી નેતાઓમાં સોંપો પડી ગયો હતો.કાલોલના ડેરોલ સ્ટેશન સ્થિત રેલવે ઓવરબ્રિજ બનાવવાનો મામલો હજુ ખોરંભાયેલો છે, જે વચ્ચે સ્થાનિક લોકોની માંગને લઈને રેલવે તંત્ર અને માર્ગ મકાન વિભાગના સહયોગથી વચગાળાનું ગરનાળું બનાવીને તૈયાર થઈ ગયા પછી પાછલા પંદર દિવસથી તેના ઉદ્ઘાટન કામગીરીની રાહ જોવાતી હતી, રેલવે ઓવરબ્રિજની સ્થગિત બનેલી કામગીરીને કારણે બંધ કરવામાં આવેલા ફાટકને લીધે સ્થાનિક ગામલોકો અને શાળાના બાળકોને અનેક અગવડો વેઠી જીવ ના જોખમે રેલ્વે ટ્રેકને ઓળંગી પસાર થવું ન પડે એ માટે વચગાળાની રાહત માટે બનાવવમાં આવેલા વર્ષોથી કંટાળેલા લોકોએ બુધવારે સવારે કોઈને પણ જાણ કર્યા વિના સ્થાનિક એક મુકબધિર કિશોરના હાથે રિબીન કપાવીને ગરનાળાનુ ઉદઘાટન કરી નાખ્યું હતું જેને પગલે લોકોએ પણ રાહત અનુભવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે આગામી વિધાનસભાની ચૂંટણીઓ ટાણે સ્થાનિક નેતાઓ પોતાની ટિકીટ માટે દોડી રહ્યા છે તેથી સ્થાનિક નેતાઓના સંકલન અને વિશ્વાસને અભાવે પ્રજાની સુખાકારી માટેની સુવિધાઓ શરૂ કરવા સમય નહીં મળતો હોય એવી સ્થાનિક લોકોના આંતરીક આક્રોશે લોકોએ જાતે જ એક મુકબધીર બાળક પાસે રેલવેના અંડરગ્રાઉન્ડ ગરનાળાનું ઉદ્ઘાટન કરીને અવરજવર શરૂ કરી દેવામાં આવી હતી. જેને કારણે સ્થાનિક નેતાઓની મનની મુરાદો મનમાં રહી જવા પામી છે.
અંડરગ્રાઉન્ડ ગરનાળાની કામગીરી પૂર્ણ થઈ ગયેલ હોવા છતાં કાલોલ તાલુકાના રાજકીય નેતાઓની ઘેલછા હતી કે રાજ્ય કક્ષાના મંત્રી કે નેતાને આમંત્રિત કરીને રાજકીય મંચ દ્વારા નેતાના હસ્તે રીબીન કાપી ઉદઘાટન કરી પ્રજા માટે ગરનાળુ ખુલ્લું મુકવામાં આવે, પરંતુ સ્થાનિક લોકો દ્વારા આ ગરનાળાને ખુલ્લું મુકાતા પ્રજાજનો ખુશ ખુશાલ દેખાય રહ્યા છે.

