સંકેત પંડ્યા – એડિટર
આરોગ્ય વિભાગના “નેશનલ હેલ્થ મિશન” માં ૧૧ માસ ની કોન્ટ્રાકટ પદ્ધતિ થી ગુજરાત રાજ્ય માં અંદાજિત ૨૪૦૦૦ જેટલા ટેકનિકલ અને નોન ટેકનિકલ કર્મચારીઓ વર્ષ ૨૦૦૬ થી નોકરી કરી રહ્યા છે. એટલે કે આ કર્મચારીઓ ૧૬ વર્ષ થી કોન્ટ્રાકટ પર ચાલે છે.૧૧ માસ ના કરાર રીન્યુ કરી ને આ કર્મચારીઓ જોડે નિયમિત ધોરણે કામ લેવામાં આવી રહ્યું છે.પરંતુ નિયમિત કર્મચારીઓને જે લાભ સરકાર દ્વારા આપવામાં આવે છે એની જગ્યા એ ફિક્સ રકમ પગાર તરીકે આપવામાં આવે છે. જો કરાર રીન્યુ થાય તો આગલા પગાર માં નજીવો ૫% વધારો કરવામાં આવે છે બીજા કોઈ લાભ મળતા નથી. લાંબા સમય થી રોજગારીની મજબૂરીના કારણે ના છૂટકે શોષિત થઈ ને પણ આ તમામ કર્મચારીઓ કોન્ટ્રાકટ પર કામ કરી રહ્યા છે. વર્ષો થી કામ કરતા હોવાથી લગભગ ૮૦% કર્મચારીઓની ઉંમર ૪૦ વર્ષ થી વધુ છે. આટલી ઉંમરમા પરિવાર નું ભરણ પોષણ , બાળકો નું ભણતર વગેરે જવાબદારીઓ પણ મોંઘવારી ના જમાના માં આવી પડી છે. ત્યારે ઓછા પગાર માં જીવન નિર્વાહ કરવો તમામ કર્મચારીઓ માટે કપરો થઈ પડ્યો છે. ઘણા કર્મચારીઓ માનસિક ચિંતા ના શિકાર બન્યા છે તેના લીધે તેઓમાં શારીરિક બીમારીઓ પણ વધી છે. આથી પંચમહાલ , દાહોદ , મહીસાગર , આણંદ સહિત રાજ્યના તમામ જિલ્લાના કર્મચારીઓ સરકારશ્રી ને અનુરોધ કરી રહ્યા છે કે રેગ્યુલર કર્મચારીઓની જેમ કામ લેવાતું હોવા છતાં સરકારી લાભો થી વંચિત છે. વધુ માં વર્ષ ૨૦૧૮ માં આ કર્મચારીઓના બેઝિક પે નક્કી કરવામાં આવ્યો એમાં પણ અન્યાય થયેલ છે. છેલ્લા પાંચ વર્ષ થી કોઈ જ વધારો થયેલ નથી. કોઈ કર્મચારીનું આકસ્મિક મૃત્યુ થાય તો સરકાર માત્ર ૨ લાખ આપે છે જ્યારે રેગ્યુલર કર્મચારીઓ ને ૮ લાખ મળે છે. આવા ભેદભાવ કર્મચારીઓ સાથે થતો હોવાનું જણાય છે.

