ફતેપુરા શબ્બીરભાઈ સુનેલવાલા
ફતેપુરા, તા. ૨૪ માર્ચ: વિશ્વ ક્ષય દિવસની ઉજવણીના ભાગરૂપે ફતેપુરા તાલુકામાં આજે જનજાગૃતિ માટે વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલીમાં આરોગ્ય વિભાગના અધિકારીઓ તથા કર્મચારીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને ટીબી રોગ અંગે લોકોમાં જાગૃતિ ફેલાવવાનો સંદેશ આપ્યો હતો.આ રેલી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. ઉદય તિલાવત અને જિલ્લા ક્ષય અધિકારી ડૉ. આર.ડી. પહાડિયા ના માર્ગદર્શન હેઠળ તેમજ તાલુકા આરોગ્ય અધિકારી ડૉ. એસ.વી. આમલિયારના દિશાનિર્દેશ મુજબ રાષ્ટ્રીય ક્ષય નિર્મૂલન કાર્યક્રમ અંતર્ગત યોજાઈ હતી.રેલીનો પ્રારંભ ફતેપુરા CHC ના સુપરિન્ટેન્ડન્ટ ડૉ. રિતેશ રાઠવા તથા PHC સલારા ના મેડિકલ ઓફિસર ડૉ. સતીશ વસાયા દ્વારા લીલી ઝંડી બતાવી કરવામાં આવ્યો હતો. રેલી દરમિયાન ભાગ લેનારોએ ટીબી નિવારણ અંગે સૂત્રોચ્ચાર કરી લોકોમાં જાગૃતિ ફેલાવી હતી.કાર્યક્રમમાં તાલુકા સુપરવાઈઝર, તાલુકા ટીબી સુપરવાઈઝર, CHO, PHC સુપરવાઈઝર, પિરામલ ફાઉન્ડેશનના કોઓર્ડિનેટર, MPHW તેમજ આશા કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. સાથે સાથે ટીબી અંગેની માહિતી આપતી લોકપત્રિકાનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે “આવો સૌ સાથે મળીને ટીબીને ભગાવીએ”, “આપણે સૌ બનાવીએ ટીબી મુક્ત સમાજ” અને “ટીબી હારેગા, દેશ જીતેગા” જેવા સૂત્રો દ્વારા જનજાગૃતિ ફેલાવવામાં આવી હતી.આરોગ્ય વિભાગ દ્વારા લોકોને ટીબી રોગ વિશે સમયસર તપાસ અને સારવાર લેવા અનુરોધ કરવામાં આવ્યો હતો તથા ટીબી મુકત સમાજ બનાવવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો.

