સરકાર રાજ્યના નાગરિકોને વિકાસના ફળો સીધેસીધા પહોંચાડવા અને સરકારી યોજનાઓથી જન-જાગૃતિ લાવવાના ભગીરથ ઉદ્દેશ્ય સાથે તા. ૦૭ ઓક્ટોબરથી તા. ૧૫ ઓક્ટોબર, ૨૦૨૫ સુધી ‘વિકાસ સપ્તાહ’ની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. પંચમહાલ જિલ્લામાં પણ આ મહત્વાકાંક્ષી કાર્યક્રમ અંતર્ગત વિકાસ રથનું આયોજન કરવામાં આવ્યું છે. છેવાડાના માનવી પણ વિકાસના પ્રવાહમાં સક્રિયપણે જોડાઈ શકે તે માટે આ વિકાસ રથ જિલ્લાના વિવિધ ગામોમાં ભ્રમણ કરીને સ્થાનિક લોકોને શિક્ષણ, આરોગ્ય, કૃષિ અને માળખાકીય સુવિધાઓ સંબંધિત વિકાસ કાર્યોની માહિતી આપી લાભોનું વિતરણ કરશે.
આ વિકાસ સપ્તાહ અન્વયે બીજા દિવસે જિલ્લાના કુલ ૧૨ ગામોને આવરી લેવામાં આવશે. ઘોઘંબા તાલુકાના વિવિધ ગામમાં વિકાસ રથ પહોંચીને ગુજરાતના વિકાસ અને લોકોપયોગી યોજનાઓની માહિતી અને લાભો જન-જન સુધી પહોંચાડશે.
બીજા દિવસે તા. ૮ મી ઓક્ટોબરના રોજ વિકાસ રથના ભ્રમણના સવારના ૯-૦૦ થી ૧૧-૦૦ ના સમયગાળા દરમિયાન ઘોઘંબા તાલુકાના ગોલ્લાવ, તલાવમુવાડા, મડામહુડી અને સરસાવ સહિતના ૪ ગામો, બપોરના ૦૨-૦૦ થી ૦૪-૦૦ ના સમયગાળામાં ગુંદી, ખડપા, ગજાપુરા (કાંટુ) અને માલુ સહિતના ૪ ગામોમાં વિકાસ રથના માધ્યમથી લોકોને માહિતગાર કરાશે. આ ઉપરાંત રાત્રીના ૮-૦૦ થી ૧૦-૦૦ વાગ્યા દરમિયાન સીમલીયા, દેવલીકુવા, બારિયાફળી અને ગુણેશીયા સહિત ૪ ગામોને પણ આ સમયગાળા દરમિયાન આવરી લેવામાં આવ્યા છે.
પંચમહાલ જિલ્લાવાસીઓ આ ‘વિકાસ સપ્તાહ’ની ઉજવણીમાં ઉત્સાહપૂર્વક ભાગ લે. પોતાના ગામમાં નિર્ધારિત સમય અને સ્થળ ઉપર આવતા વિકાસ રથના કાર્યક્રમમાં સહભાગી બની સરકારી યોજનાઓ અને લાભો વિશે માહિતી મેળવી, વ્યક્તિગત તેમજ સામુદાયિક વિકાસની આ યાત્રામાં સક્રિય યોગદાન આપવા નાગરિકોને પંચમહાલ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

