માંડવી:-
કરછના માંડવી કોંગ્રેસના નવનિયુક્ત શહેર પ્રમુખ અરવિંદસિંહ જાડેજા અને તાલુકા પ્રમુખ વલ્લભ વેલાણી એ કાઠડા ગામની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન, તેમણે રાજ્ય સરકારે કાર્ગો માટે ફાળવેલી ગૌચર જમીન બાબતે સરકાર અને સત્તાધારી પક્ષ સામે વિવિધ આક્ષેપો કર્યા હતા અને ઉગ્ર લડત આપવાની ખાતરી આપી હતી.
માંડવી શહેર કોંગ્રેસ પ્રમુખ અરવિંદસિંહ જાડેજાએ આ મુદ્દે આક્રોશ વ્યક્ત કર્યો હતો. તેમણે પ્રશ્ન કર્યો કે, જ્યારે માંડવી, શિરવા અને ભારાપરની હજારો ગાયો કાઠડાની ગૌચર જમીન પર નિર્ભર છે, ત્યારે આ જમીન રાજ્ય સરકારે કાર્ગોને ફાળવી દેતા ગાયોના નામે મત લેનારા નેતાઓ કેમ ચૂપ છે? તેમણે ઉગ્ર લડત આપવાની ચીમકી ઉચ્ચારી હતી.

તાલુકા કોંગ્રેસ પ્રમુખ વલ્લભ વેલાણીએ પણ જણાવ્યું હતું કે, કાઠડા ગામ અને માંડવી સીમાડા વિસ્તારની ૫૮૭ એકર ગૌચર જમીન એરસ્ટ્રીપના વિસ્તૃતીકરણ હેઠળ ફાળવવામાં આવી છે. તેમણે આ મુદ્દે રાજ્ય સરકાર સામે ઉગ્ર લડત આપવાની ચીમકી ઉચ્ચારી હતી.
પ્રમુખોએ કાઠડા ગામના વિવિધ સમાજના અગ્રણીઓ સાથે બેઠક યોજી હતી.

