પંકજ પંડિત
શ્રાવણ માસ નિમિત્તે ભક્તિ અને આરાધનાના પર્વની ઉજવણી કરતા દાહોદ જિલ્લાના સાંસદ જસવંતસિંહ ભાભોરના દાસા મુકામે આવેલા નિવાસસ્થાને એક ભવ્ય આનંદ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. સાંસદના પત્ની અને માઈ ભક્ત કંચનબેન ભાભોર દ્વારા આ કાર્યક્રમનું નિમંત્રણ આપવામાં આવ્યું હતું.
મા શક્તિ આનંદ ગરબા મંડળ દ્વારા આયોજિત આ અનુષ્ઠાન તેમનું 82મું હતું, જેમાં ઝાલોદના પટેલ સમાજ અને પંચાલ સમાજના સભ્યો મોટી સંખ્યામાં જોડાયા હતા. “જય અંબે, જય બહુચર મા”ના ગગનભેદી નાદ સાથે ભક્તોએ ગરબાની રમઝટ બોલાવી હતી.
આ કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ શિવ-પાર્વતીના સાક્ષાત સ્વરૂપની ઝાંખી હતી, જેણે ઉપસ્થિત સૌ ભક્તોમાં આધ્યાત્મિક ભાવના અનેરો ઉમંગ ભર્યો હતો. આ ઝાંખીએ સમગ્ર વાતાવરણને ભક્તિમય બનાવી દીધું હતું. આ આયોજન ઝાલોદના પટેલ અને પંચાલ સમાજમાં પ્રચલિત આનંદ ગરબાની પરંપરાને વધુ મજબૂત બનાવે છે. સાંસદના નિવાસસ્થાને યોજાયેલા આ ધાર્મિક કાર્યક્રમમાં સમાજના આગેવાનો અને શ્રદ્ધાળુઓએ મોટી સંખ્યામાં હાજરી આપીને તેને સફળ બનાવ્યો હતો.

