પંકજ પંડિત
ઝાલોદ રક્ષા બંધન અને આદિવાસી દિવસ એક જ દિવસેઆદિવાસી સમાજના મૂળભૂત અધિકારોના મૂળભૂત સામાજિક, આર્થિક તેમજ ન્યાયિક રક્ષણ માટે દર વર્ષે 9 મી ઑગસ્ટે વિશ્વ આદિવાસી દિવસ ઉજવવામાં આવે છે. આદિવાસી સમાજ માટે હવે વિશ્વ આદિવાસી દિવસ એક ઉત્સવ જેવો બની ગયેલ છે. આદિવાસી સમાજ પોતાની સંસ્કૃતિ અને ઓળખ પ્રદર્શિત કરવા માટે આ દિવસે એક વિશાળ રેલી યોજી સમાજની એકતા પ્રદર્શિત કરે છે.9 મી ઑગસ્ટે રક્ષા બંધન તેમજ વિશ્વ આદિવાસી દિવસનો સમન્વય જોવા મળી રહેલ છે. આ બે મોટા તહેવારો એક જ દિવસે હોવાથી મોટા પ્રમાણમાં નગરમાં ભીડ જોવા મળશે. રક્ષા બંધનના તહેવાર માટે રોજગાર મેળવવા બહાર ગયેલ આદિવાસી સમાજના લોકો મોટા પ્રમાણમાં પોતાના વતનમાં આવતા હોય છે. જેથી આ વિશ્વ આદિવાસી દિવસે મોટા પ્રમાણમાં આદિવાસી સમુદાય રેલી સ્વરૂપે જોડાય તેવી પ્રબળ સંભાવનાઓ છે. આદિવાસી સંગઠનના આગેવાનો દ્વારા વિશ્વ આદિવાસી દિવસને યાદગાર બનાવવા અલગ અલગ મીટિંગો યોજી રહેલ છે અને આ મીટિંગોમા આગેવાનોને જંગી સમર્થન મળી રહેલ છે. હાલ નગરના બસ સ્ટેશન વિસ્તારમાં આદિવાસી સમાજના આગેવાનો દ્વારા વિશ્વ આદિવાસી દિવસની શુભકામનાઓ આપતા બેનર પોસ્ટર લાગેલ જોવા મળી રહેલ છે જેથી નગરમાં વિશ્વ આદિવાસી દિવસની રેલીમાં મોટા પ્રમાણમાં લોકો જોડાય તેવું લાગી રહેલ છે. નગરના લોકો પણ આદિવાસી સમાજના આ ભવ્ય ઉત્સવને જોવા આતુરતા થી રાહ જોઈ રહેલ છે.

