શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી, મુ. વિંઝોલ ખાતે તા.૧૧/૧૨/૨૦૨૪ – બુધવારના રોજ સવારે ૯:૩૦ કલાકે શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી,વિંઝોલ -નો છઠ્ઠો પદવીદાન અને સુવર્ણચંદ્રક એનાયત સમારોહ યોજવામાં આવ્યો છે. આ પદવીદાન સમારોહ યુનિવર્સિટી હોદ્દાની રુએ યુનિવર્સિટીના કુલાધિપતિ માન. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી( માન. રાજ્યપાલશ્રી, ગુજરાત સરકાર) ના અધ્યક્ષ સ્થાને યોજાનાર છે. આ સમારોહમાં શ્રી ગુજરાત રાજ્યના માનનીય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ મુખ્ય અતિથિ તરીકે તથા શ્રી પ્રફુલભાઈ પાનસેરીયા, (માન. મંત્રીશ્રી ,રાજ્ય કક્ષા, ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ )અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેવાના છે.
સમારોહના દિવસે પીએચ.ડી. ના ૭૦ ઉમેદવારોને અને ૪૭ સુવર્ણચંદ્રક વિજેતા વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવશે. ૪૭ સુવર્ણચંદ્રક પૈકી ૩૭ સુવર્ણચંદ્રક બહેનોને તથા ૧૦ સુવર્ણચંદ્રક ભાઈઓને એનાયત થશે.
આ વર્ષે પદવી મેળવવા માટે કુલ ૧૭૮૧૬ વિદ્યાર્થીઓએ અરજી કરેલી છે. તેઓને વ્યવસ્થાના ભાગરૂપે ભારતીય પોસ્ટ મારફત RTGS/Speed Post થી પદવી પ્રમાણપત્ર મોકલી આપવામાં આવશે. સમારોહને સફળ બનાવવા માટે આ યુનિવર્સિટીના કુલપતિ મા શ્રી પ્રો. પ્રતાપસિંહજી ચૌહાણના માર્ગદર્શન હેઠળ વિવિધ સમિતિઓ બનાવવામાં આવી છે અને સમારોહને લગતી વિવિધ પ્રકારની તૈયારીઓ પૂરજોશમાં યુનિવર્સિટી ખાતે ચાલી રહી છે.
યુનિવર્સિટીના છઠ્ઠા પદવીદાન અને સુવર્ણચંદ્રક એનાયત સમારોહમાં અનુસ્નાતક વિભાગોના પ્રોફેસરશ્રીઓ,સંયોજકશ્રીઓ, સંલગ્ન તમામ કોલેજોના આચાર્યશ્રીઓ, માન્ય અનુસ્નાતક કેન્દ્રોના પ્રોફેસર ઇન્ચાર્જશ્રીઓ, તમામ અધ્યાપકશ્રીઓ, બિન-શૈક્ષણિક કર્મચારીશ્રીઓ, સુવર્ણચંદ્રકના દાતાશ્રીઓ, પીએચ.ડી. -ની ડીગ્રી મેળવનાર તમામ ઉમેદવારો, સુવર્ણચંદ્રક મેળવનાર તમામ વિદ્યાર્થીઓ યુનિવર્સિટીના વિવિધ અભ્યાસક્રમોમાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓને આમંત્રણ પાઠવવામાં આવે છે.

