દિવાળી હોય અને ફટાકડા ન ફોડવા તેવુ ચાલે જ નહી. દિવાળી પર ફટાકડા ફોડતી વખતે દાઝી જવાના કેસોમાં વધારો જોવા મળ્યો હતો. 108 ઈમરજન્સીને રવિવારે કુલ 41 જેટલા કોલ દાઝી જવાના મળ્યા હતા. જેમાં સૌથી વધારે અમદાવાદમાં 10 જેટલા દાઝી જવાના બનાવો બનતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે દિવાળીના તહેવાર દરમિયાન અપેક્ષા કરતાં અકસ્માતના કેસો ખૂબ ઓછા બન્યા છે.
સામાન્ય દિવસોમાં 431 જેટલા કોલ સમગ્ર રાજ્યમાંથી મળતા હોય છે પરંતુ દિવાળીના દિવસે 687 જેટલા કોલ મળ્યા હતા. જ્યારે દિવાળીના તહેવાર દરમિયાન 700થી વધુ કોલ મળતા હોવાનો અંદાજ 108 ઈમરજન્સી સેવા દ્વારા લગાવવામાં આવ્યો હતો. અમદાવાદ, વડોદરા, રાજકોટ સુરત મહાનગરોમાં ઓછા કેસો જોવા મળ્યા હતા. માત્ર વડોદરામાં જ વધુ કેસો જોવા મળ્યા હતા જ્યારે ખેડા જિલ્લામાં અકસ્માતના કેસોમાં વધારો જોવા મળ્યો હતો.
દિવાળી તહેવાર દરમ્યાન માત્ર આગ અકસ્માત જ નહીં પરંતુ મારામારીના, પડી જવાના, રખડતા ઢોરના કારણે એવા અલગ અલગ કિસ્સાઓ પણ વધ્યા છે. મારામારીના કિસ્સાઓ પણ સૌથી વધુ જોવા મળ્યા છે. દિવાળીના દિવસે રાજ્યમાં 279 જેટલા મારામારીના કિસ્સાઓ જોવા મળ્યા હતા. જ્યારે પડી જવાના 215 જેટલા કોલ મળ્યા હતા. દિવાળીના દિવસે સામાન્ય દિવસ કરતાં માત્ર એક ટકા વધુ કેસો જોવા મળ્યા છે જેથી કહી શકાય કે ચાલુ વર્ષે દિવાળીના તહેવાર દરમિયાન અકસ્માત સહિત વિવિધ પ્રકારના કેસો જોવા મળ્યા નથી.

