દ્વારકામાં આવેલા હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે ગુજરાત પ્રવાસન નિગમ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સંયુક્ત ઉપક્રમે આયોજિત આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું સાંસદ પૂનમ માડમે ઉદ્ઘાટન કર્યું હતું અને તમામ લોકોને ઉતરાયણ પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી.
આ પ્રસંગે પૂનમ માડમે જણાવ્યું હતું કે, ઉત્તરાયણ આ આનંદ અને ઉત્સાહનો પર્વ છે. ગુજરાતના પનોતા પુત્ર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં તમામ ક્ષેત્રે વિકાસ થવાની સાથે આપણી સાંસ્કૃતિક વિરાસતને ઉજાગર કરવાનું કામ થઈ રહ્યું છે. પીએમ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે વાઇબ્રન્ટ ગુજરાત, રણ ઉત્સવ, પતંગ મહોત્સવ જેવા મહોત્સવની શરૂઆત કરી હતી. ત્યારે હવે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકાર આ મહોત્સવને આગળ લઈ જવાનું કાર્ય કરી રહી છે. તેમણે વધુમાં કહ્યું કે, દ્વારકાના આંગણે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરાના નેતૃત્વમા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું સુંદર આયોજન થયું છે.
દેશ-વિદેશના પતંગબાજોને પ્રવાસન સ્થળની મુલાકાત લેવા અનુરોધ
નોંધનીય છે કે, આ કાર્યક્રમમાં દેશ-વિદેશથી પતંગબાજો ભાગ લેવા આવ્યા છે. તેમને સાસંદ પૂનમબેને આવકાર્યા હતા અને દ્વારકાના પ્રવાસન સ્થળોની મુલાકાત લેવા પણ અનુરોધ કર્યો હતો. સાંસદ દ્વારા લોકોને ઉત્સાહ સાથે પતંગ ચગાવવાની સાથે જીવદયાનું ધ્યાન રાખવા પણ અનુરોધ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર મુકેશ પંડ્યાએ જણાવ્યું હતું કે, ઉતરાયણ નિમિત્તે આપણે સૌ પતંગબાજોની વિવિધ પ્રકારની પતંગો નિહાળી પતંગ ચગાવવાની કરતબો નિહાળીએ. સાથે જે તેમણે લોકોને તહેવારની શુભકામનાઓ પણ પાઠવી હતી.
રૂક્ષ્મણી સરોવર માટે રાજ્ય સરકારે 21 કરોડ ફાળવ્યા
ઉપરાંત તેમણે પતંગની દોરીથી કોઈ વ્યક્તિ કે અબોલ જીવને ઇજા ન પહોંચે તેનું ધ્યાન રાખવા પણ અપીલ કરી હતી. જ્યારે દ્વારકા નગરપાલિકાના પ્રમુખ જ્યોતિ સામાણીએ આ પ્રસંગે કહ્યું કે, ગુજરાત સરકારે દ્વારકાના વિકાસમાં હંમેશાં મોટું યોગદાન આપ્યું છે. તાજેતરમાં જ રૂક્ષ્મણી સરોવર માટે રાજ્ય સરકાર દ્વારા રૂ. 21 કરોડ ફાળવવામાં આવ્યા છે, જેનું તાજેતરમાં ખાતમુર્હુત કરાયું હતું. આ પ્રસંગે પ્રવાસન નિગમના મેનેજર અજિત જોશીએ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની રૂપરેખા આપી હતી. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી એસ.ડી. ધનાણી, ઓખા નગરપાલિકાના પ્રમુખ સહિત અન્ય અગ્રણીઓ અને સ્થાનિક આગેવાનો સહિત ઉપસ્થિત રહ્યાં હતા.

