રાજ્યના ડીજીપી આશિષ ભાટીયાનો કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યો છે ત્યારે અત્યારથી જ નવા ડીજીપીને લઈને ચર્ચાએ જોર પકડ્યું છે. 20 દિવસ બાદ જ 31 તારીખના રોજ તેમનો કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યો છે. પંકજ કુમારની સાથે સાથે તેમનો પણ કાર્યકાળ પૂર્ણ થયા કેટલાક નવા નામો પણ સામે આવી રહ્યા છે. જેને લઈને અત્યારથી જ ડીજીપીના નામોને લઈને ચર્ચા શરુ થઈ ગઈ છે. અગાઉ ચૂંટણી પહેલા તેમનો કાર્યકાળ એક્સ્ટેન્સન કરવામાં આવ્યો હતો ત્યારે હવે 31 જાન્યુઆરીના રોજ તેમનો કાર્યકાળ ડીજીપી તરીકે પૂર્ણ થઈ રહ્યો છે.
8 મહિના કાર્યકાળ વધારાયો હતો
અગાઉ તેમને 8 મહિનાનું એક્સટેન્શન આપવામાં આવ્યું હતું. જે બાદ રાજ્યના પોલીસ વડા તરીકે તેમનો કાર્યકાળ 31 જાન્યુઆરી સુધી લંબાવવામાં આવ્યો હતો. હવે આ મુદત પૂરી થવા જઈ રહી છે. ત્યારે નવા ડીજીપીને લઈને 3 નામો ચર્ચામાં છે.
આ ત્રણ નામો છે ચર્ચામાં, કોણ બનશે ડીજીપી?
આશિષ ભાટિયા બાદ જે ત્રણ નામોની ચર્ચા છે છે જેમાં આ નામોની અંદર પ્રથમ નામ સંજય શ્રીવાસ્તવ, અતુલ કરવાલ, અજય તોમરના નામની ચર્ચા થઈ રહી છે. નવા ડીજીપી તરીકે અતુલ કરવાલનું નામ મોખરે છે. સૌથી વરિષ્ઠ સંજય શ્રીવાસ્તવ એપ્રિલ મહિનામાં નિવૃત્ત થઈ રહ્યા છે. જો સરકાર ઇચ્છે તો સંજય શ્રીવાસ્તવને 3 મહિના માટે ડીજીપીનો ચાર્જ આપી શકે છે. ગુજરાત સરકારે ચૂંટણી પહેલા કેન્દ્રને 6 નામ મોકલ્યા હતા.
પોલીસમાં રહી અનેક જવાબદારીઓ પાર પાડી છે આશિષ ભાટીયાએ
આશિષ ભાટિયાએ અમદાવાદમાં 2008ના સિરિયલ બ્લાસ્ટનો કેસ માત્ર 19 દિવસમાં ઉકેલ્યો હતો. 26 જુલાઈ 2008ના રોજ અમદાવાદમાં થયેલા શ્રેણીબદ્ધ વિસ્ફોટો સમયે, આશિષ ભાટિયા અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના જોઈન્ટ કમિશનર ઑફ પોલીસ હતા. તેમણે અને SITની ટીમે બ્લાસ્ટ કેસમાં ઈન્ડિયન મુજાહિદ્દીન મોડ્યુલનો પર્દાફાશ કરીને સમગ્ર મામલાને તોડી પાડ્યો હતો અને 30 જેટલા આરોપીઓની ધરપકડ કરી હતી. 2008માં લઠ્ઠાકાંડમાં પણ સક્રીય ભૂમિકા નિભાવી હતી.

