સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સારી રીતે જળવાઇ રહે તે માટે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા હથિયારબંધી જાહેર કરતું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. આ જાહેરનામા અનુસાર સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લામાં તા.૨૮-૦૨-૨૦૨૩ સુધી નગરપાલિકા વિસ્તારમાં સંબંધિત સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ તથા ગ્રામ્ય વિસ્તારમાં મામલતદાર અને એક્ઝીક્યુટીવ મેજીસ્ટ્રેટશ્રીની પૂર્વ મંજૂરી સિવાય
શસ્ત્રો, દંડા, તલવાર, ભાલા, ધોકા, બંદુક, લાકડી અને લાઠી, કુંડલીવાળી લાકડી તથા શારીરિક ઈજા પહોંચાડી શકે તેવા બીજા કોઈ પણ સાધનો, પથ્થરો અથવા ફેંકી શકાય તેવી વસ્તુઓ ફેંકવાની કે ધકેલવાના યંત્રો અથવા સાધનો લઇ જવા પર પ્રતિબંધ જાહેર કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, વ્યકિતઓ અથવા તેમની આકૃતિઓ અથવા પૂતળા દેખાડવા તથા તૈયાર કરવા પર, કોઈ પણ ક્ષયકારી પદાર્થ અથવા સ્ફોટક પદાર્થ સાથે લઇ જવા પર, સુરૂચિનો અથવા તો નીતિનો ભંગ થાય તેવું ભાષણ કરવા કે ચેષ્ટા કરવા પર, તેવા ચિત્રો-પત્રિકા, પ્લેકાર્ડ અથવા બીજા કોઈ પદાર્થ અથવા વસ્તુઓ તૈયાર કરવા અથવા તેનો ફેલાવો કરવા પર, અપમાન કરવાના અથવા જાહેર કરવાના ઇરાદાથી જાહેરમાં બિભત્સ શબ્દો પોકારવા, અશ્લીલ ગીતો ગાવા પર અથવા ટોળામાં ફરવા તેમજ સરઘસમાં જલતી અને પેટાવેલી મશાલ લઈ જવા, જીગઝેક પ્રકારના ચાઇનીઝ ચપ્પાઓ સાથે રાખવા કે વેચાણ કરવા ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.આ ઉપરાંત પરવાના વાળા હથિયારો સાથે જાહેર જગ્યાઓએ જવા, હવામાં ફાયર કરવા, મેળા, ધાર્મિક સરઘસ કે વ્યક્તિઓના સમુદાયમાં લઈ જવા પર તેમજ પ્રાઇવેટ સિક્યુરિટી એજન્સીના સંચાલક અને કર્મચારીઓને લાયસન્સવાળા હથિયારો સાથે ફરજ સિવાયના સમયે જાહેર જગ્યા ઉપર જવા ઉપર પણ આ જાહેરનામા દ્વારા પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.

