છપરામાં ઝેરી દારૂને કારણે થયેલા મૃત્યુને લઈને બિહાર વિધાનસભાના શિયાળુ સત્રમાં બુધવારે ભારે હંગામો થયો. ભાજપના ધારાસભ્યોએ વેલમાં ઉતરીને નીતીશ સરકાર વિરુદ્ધ જોરદાર નારેબાજી કરી. આ પછી સીએમ નીતીશ કુમાર વિપક્ષી ધારાસભ્યો પર ભડકી ગયા. તેમણે ભાજપના ધારાસભ્યોને જ શરાબી કહીને સંબોધિત કરી દીધા. આ પછી તેઓ સદનની કાર્યવાહી છોડીને ચાલ્યા ગયા.
વિધાનસભાના શિયાળુ સત્રના બીજા દિવસે કાર્યવાહી શરૂ થતાં જ વિપક્ષી ધારાસભ્યોએ નકલી દારૂથી મૃત્યુના મુદ્દે ગૃહમાં હોબાળો મચાવ્યો હતો. નારેબાજી કરતા ભાજપના ધારાસભ્યો વેલમાં ઉતરી આવ્યા હતા અને હંગામો મચાવ્યો હતો. સ્પીકર અવધ બિહારી ચૌધરીએ તેમને શાંત થવા કહ્યું, પરંતુ તેઓ વેલમાં ઉભા રહ્યા.
વિપક્ષની નારેબાજીને કારણે સીએમ નીતીશ કુમાર ગૃહમાં ગુસ્સે થઈ ગયા. તેમણે પોતાની સીટ પર ઉભા થઈને ભાજપના ધારાસભ્યોને કહ્યું કે તમે લોકો દારૂ વેચાવી રહ્યા છો, તમે લોકો દારૂડિયા છો. હવે સહન કરવામાં આવશે નહીં. તમે કેટલો હલ્લો કરશો?
બીજી તરફ, ભાજપે મુખ્યમંત્રી નીતીશની ભાષાને અમર્યાદિત ગણાવી. નેતા વિપક્ષ વિજય સિંહાએ સીએમ નીતીશ કુમાર પાસેથી માફીની માંગ કરી. આ પછી સદનમાં ફરીથી હંગામો થવા લાગ્યો. સ્પીકરે હંગામાને જોતા સદનની કાર્યવાહીને 15 મિનિટ માટે સ્થગિત કરી દીધી. આ પછી સદનની કાર્યવાહી ફરીથી શરુ થઈ અને પ્રશ્નકાળ ચાલ્યો. વિધાનસભાના પરિસરમાં પણ ભાજપ સભ્યોએ મુખ્યમંત્રી નીતીશ કુમારના રાજીનામાની માંગ કરી અને નારેબાજી કરી.

