સંકેત પંડ્યા – એડિટર
રાજ્યમાં વિધાનસભાની સામાન્ય ચૂંટણી જાહેર થઇ છે અને આદર્શ આચાર સંહિતા અમલમાં છે ત્યારે દાહોદનાં અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ એ.બી. પાંડોરે એક જાહેરનામા થકી ડીજે-લાઉડ સ્પીકર વગાડવા બાબતે પ્રતિબંધિત આદેશો કર્યા છે. તદ્દનુસાર, જિલ્લામાં વિધાનસભાની સામાન્ય ચૂંટણી દરમ્યાન ચૂંટણી પ્રચાર કે જાહેર સભા માટે લાઉડ સ્પીકર, ડીજે કે અન્ય મ્યુઝિક સીસ્ટમનો ઉપયોગ રાત્રીના ૧૦ થી સવારના ૬ વાગ્યા સુધી કરી શકાશે નહી. તેમજ આ સિવાયના સમયગાળા દરમ્યાન સક્ષમ અધિકારીશ્રીની પરવાનગી મેળવીને જ લાઉડ સ્પીકર કે ડીજે કે અન્ય મ્યુઝિક સિસ્ટમનો ઉપયોગ કરી શકાશે.
ચૂંટણી પ્રચાર દરમિયાન સભા, સરઘસ, રેલી, રોડ શો કે અન્ય કોઇ પણ કાર્યક્રમમાં ૧૦ (દસ) કરતાં વધુ વાહનોના કાફલો ચૂંટણી યોજાનાર વિસ્તારના જાહેર માર્ગો પર ફેરવી શકાશે નહીં તેવો આદેશ કર્યો છે. તેમજ સંબંધિત શહેરી તથા ગ્રામ્ય વિસ્તારનાં જાહેર રસ્તાઓ પર ચૂંટણીલક્ષી સરઘસની કારો, વાહનોને ૧૦ કરતા વધુ વાહનોના કાફલારૂપે અવર જવર કરવા દેવામાં આવશે નહી. તેમજ ફોર્મ ભરતી વખતે ઉમેદવાર દ્વારા અલગથી સુચનાઓ જાહેર કરાઇ છે તેનું ચુસ્ત પાલન કરવાનું રહેશે.આ જાહેરનામું આગામી તા. ૧૦ ડિસેમ્બર સુધી અમલમાં રહેશે.

