સંકેત પંડ્યા – એડિટર
અમદાવાદ શહેરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વાર મેટ્રોની શરૂઆત કરાવી હતી. અમદાવાદના લોકોને પરિવહનની વધુ સુવિધા મળે તે માટે રાજ્ય સરકાર દ્વારા શહેરના બે જુદા જુદા રૂટ પર મેટ્રો શરુ કરવામાં આવી છે. અમદાવાદના લોકો આ મેટ્રોમાં મુસાફરીનો આનંદ લઇ રહ્યા છે જો કે કેટલાક મુસાફરો જે ડેઇલી અપડાઉન કરે છે અને કેટલાક વિદ્યાર્થીઓ કે જે મેટ્રોનો ઉપયોગ કરીને કોલેજ જઈ રહ્યા છે તે લોકોને પોતાના વાહનની પાર્કિંગ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. મેટ્રો સ્ટેશનોએ વાહન પાર્કિંગની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી ન હતી. વસ્ત્રાલથી થલતેજ ગામ સુધી અને APMCથી મોટેરા સુધી દોડનારી મેટ્રોના મુસાફરી કરતા લોકોને વાહન ક્યાં પાર્ક કરવા તે અંગે દુવિધામાં હતા. હવે આ સમસ્યાનો નિકાલ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે અને ઝડપથી આ બાબતે કાર્યવાહી કરવામાં આવશે.
અમદાવાદ મેટ્રો સ્ટેશન માટે આ સ્થળોએ બનશે પાર્કિંગ
અમદાવાદ શહેરના મેટ્રોના મુસાફરોને પોતાના વાહન પાર્ક કરવા માટે હવે મેટ્રો સ્ટેશન નજીક જ પોતાના વાહનો માટે અન્ડરગ્રાઉન્ડ પાર્કિંગ, ઓન સ્ટ્રીટ પાર્કિંગ, ઓફ સ્ટ્રીટ પાર્કિંગ સહિતની સુવિધા ઉભી કરવા આદેશ આપવામાં આવ્યા છે. આ પાર્કિંગની સુવિધા મેટ્રો સ્ટેશનથી 500 મીટરના અંતરથી નજીકના વિસ્તારમાં આપવામાં આવશે. આ અગાઉ અમદાવાદ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીમાં એસ્ટેટ વિભાગને વાહન પાર્કિંગના પ્લોટની ફાળવણી કરવા સૂચના આપવામાં આવી હતી. આદેશ મળ્યા બાદ એસ્ટેટ વિભાગે પ્લોટની માત્ર મુલાકાત લીધી હતી પરંતુ મેટ્રો શરુ થયા બાદ પણ પાર્કિંગની સુવિધા મળી શકી નહોતી. જો કે, હવે નવા આદેશ મુજબ 14 થી 16 સ્થળોએ પાર્કિંગની સુવિધા ઉભી કરવામાં આવશે. અમદવાદમાં ધીરે ધીરે લોકો મેટ્રોનો ઉપયોગ લઇ રહ્યા છે જેથી તેમનો સમય અને પૈસાની બચત થાય જો કે પાર્કિંગની સમસ્યાને કારણે હજુ સુધી ઘણા લોકો ઉપયોગ કરતા નથી જો કે વાહન પાર્કિંગની સમસ્યાનો ઉકેલ આવી જશે ત્યારે મેટ્રોમાં વધુ ભીડ જોવા મળી શકે છે.

