સંકેત પંડ્યા – એડિટર
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી શરુ થતા જ વિવિધ જ્ઞાતિઓમાં બેઠક અને સંમેલન શરુ થઇ ગયા છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના જ મહિના રહ્યા છે ત્યારે હવે પોતાના સમાજમાંથી વધુ ને વધુ ટિકિટ મળે તે માટે સમાજમાં સંમેલન યોજવા લાગ્યા છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા સૌરાષ્ટ્રના જૂનાગઢ ખાતે કડવા પાટીદાર સમાજના લોકોએ પોતાના સમાજમાંથી વધુ ને વધુ ચૂંટણી મળે તે માટે એક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. આ સામાજિક સંમેલનમાં વાલજીભાઇએ કહ્યું હતું કે રાજકીય પક્ષો સમાજની સંખ્યા પ્રમાણે ટિકિટ આપવી જોઈએ અને જો અમે કહેશું તેમ નહીં થાય તો પાટીદારોની તાકાત સરકારને બતાવીશું અને સમાજના આગેવાન હરિભાઈ પટેલનું કહેવું છે કે પાટનગરમાં પાટીદારોનો અવાજ કેમ નથી પહોંચી શકતો અને રાજકીય પક્ષો પાસે પાટીદારોએ વધુ ટિકિટો મંગાવી જોઈએ.
ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણીમાં કડવા પાટીદારોની બાદબાકી જરાય પણ સાંખી નહીં લેવાય અને સરકારને અલ્ટીમેટમ પણ આપી હતી. નોંધનીય છે કે ગત ચૂંટણીમાં ભાજપે સૌરાષ્ટ્રમાં કડવા પાટીદારોને 8 વિધાનસભાની ટિકિટ આપી હતી આ બેઠકોમાં માણાવદર, ધોરાજી, ઉપલેટા, જામજોધપુર, મોરબી અને સુરેન્દ્રનગર સામેલ છે. આગામી વિધાનસભાની ચૂંટણીમાં પણ વધુને વધુ બેઠક પર કડવા પાટીદારોને ટિકિટો મળે તે માટે આ સંમેલન યોજવામાં આવ્યું હતું.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે આ પ્રકારના સામાજિક સંમેલનને કારણે રાજકીય પક્ષોનું સમીકરણ બદલાઈ જાય છે. દરેક રાજકીય પક્ષ ચૂંટણી જીતવા માટે જ્ઞાતિ આધારિત જ ટિકિટનું વિતરણ કરતો હોય છે. ગુજરાતમાં પાટીદારોના મતદારો વધુ છે અને તેમાં પણ સૌરાષ્ટ્રમાં પાટીદારોનું વર્ચસ્વ વધી રહ્યું છે ત્યારે હવે કડવા પાટીદારો દ્વારા એક સૂરમાં પોતાને વધુ ટિકિટો મળે તે માટે પ્રયાસ કરી રહ્યા છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં રાજકીય પક્ષો માટે ચૂંટણીની ટિકિટ એ માથાનો દુખાવો થયો છે.

