સંકેત પંડ્યા – એડિટર
ભારત એ ગરીબોનો દેશ છે. આપણા દેશના મોટાભાગના લોકો ગરીબ અથવા મધ્યમવર્ગીય પરિવારો માંથી આવે છે. તે આપણે સૌ જાણીએ છીએ. ત્યારે ભૂજનું મ્યુનિસિપલ તંત્ર દેશના વડાથી ભૂજના ગરીબોને જ ઢાંકી રહ્યું છે. વડાપ્રધાન મોદી હમણાં બે દિવસ માટે ગુજરાત આવી રહ્યા છે ત્યારે તેઓ ભૂજની મુલાકાતે પણ આવી રહ્યા છે. વડાપ્રધાનની ભૂજ મુલાકાત પહેલા વહિવટી તંત્રે તાત્કાલિક ધોરણે સફાઈ, રોડ રિપેરીંગ, ઢોર પકડવાના સહિત અનેક કામો રાતે ઉજાગરા કરીને પણ કરી રહ્યું છે. તે જોતા શહેરીજનો આશ્ચર્યચકિત થઈ ગયા છે. ભૂજ RTO સર્કલ પાસે રોડ ડિવાઈડરની દિવાલ ઘણાં સમયથી નહોતી. તેને પણ રાતોરાત ઉભી કરી દેવામાં આવી.

ભૂજના RTO સર્કલ પાસેનો રોડ વડાપ્રધાનના રોડ શો વચ્ચે આવતો હોઈ ત્યાંના ઝૂંપડપટ્ટી વિસ્તારને પડદાથી ઢાંકી દેવામાં આવ્યો. જેથી ત્યાંની ગરીબ પ્રજા, ખુલ્લામાં શૌચક્રીયા કરતા લોકો, ગંદકી, કુવ્યવસ્થા, કાદવ પર વડાપ્રધાનની નજર ન જાય. અમદાવાદમાં જ્યારે અમેરિકાના વડા ટ્રમ્પ આવેલા તે વખતે પણ આ જ રીતે રોડની સાઈડો પર આવેલા ઝૂંપડાને ઢાંકી દેવામાં આવ્યા હતા. ત્યારે પણ ભાજપના તંત્ર પર અનેક સવાલો ઉઠ્યા હતા. અત્યારે પણ ભાજપના મ્યુનિસિપલ તંત્ર પર ભુજના લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે મોદી તો ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ૩ ટર્મ સુધી રહી ચૂક્યા છે. ગુજરાતની સ્થિતિની સારી રીતે ભલીભાતી જાણે છે. તો એમનાથી આ રીતે ગરીબોની સ્થિતિ છુપાવવાનો શું અર્થ છે? ભુજના લોકોને નવાઈ તો એ લાગે છે કે આજદિન સુધી કચેરીઓના ચક્કરક ખાઈને પણ જે સ્વચ્છતાનું કામ ભુજના લોકો ના કરી શક્યા તે દેશના વડાપ્રધાનના મોદીના એક વખતની મુલાકાતથી તાત્કાલિક થઈ ગયુ.

