પંકજ પંડિત
ઝાલોદ માછનાળા ડેમ તરફ જતા રોડ પર આવેલા સુપ્રસિદ્ધ પૌરાણિક સાવન માતાના મંદિરના નવીનીકરણનું કામ ચાલી રહ્યું છે.ત્યારે અસામાજિક તત્વોએ અહીંથી સેટિંગના સામાનની ચોરી કરીને ભક્તોની આસ્થાને ઠેસ પહોંચાડી હતી. પહેલા સેન્ટિંગ પ્લેટની ચોરી થયા બાદ હવે પાણીના ટેન્કરના બે ટાયરો પણ ચોરાઈ ગયા છે. જેના કારણે સ્થાનિક ભક્તો અને ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.
આ પૌરાણિક મંદિર જૂનું હોવાથી સ્થાનિક ભક્તો અને આગેવાનોના સહયોગથી તેના નવીનીકરણનું કાર્ય હાથ ધરવામાં આવ્યું હતુ. આ પવિત્ર કાર્ય દરમિયાન જ ચોરોએ પોતાની નાપાક હરકતો શરૂ કરી દીધી છે. થોડા સમય પહેલા 10 ઓગસ્ટ 2025ના રોજ બાંધકામ માટે રાખવામાં આવેલી 41 સેન્ટિંગ પ્લેટોની ચોરી થઈ હતી. આ ઘટનાથી ગામલોકો સ્તબ્ધ થઈ ગયા હતા.પરંતુ હવે ફરી એકવાર ચોરોએ હિંમત કરીને બાંધકામ સ્થળ પર પડેલા પાણીના ટેન્કરના પાછળના બે ટાયરોની પણ ચોરી કરી છે.
આ ચોરીની ઘટના અંગે ગામના આગેવાન બિરેન ભાભોરે ઝાલોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી હતી. ફરિયાદ મળતાની સાથે જ પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી અને ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી. પોલીસે મંદિર પરિસરમાં તપાસ કરીને ચોરોને પકડવા માટે વધુ કાર્યવાહી હાથ ધરી છે.મંદિર જેવી પવિત્ર જગ્યાએ ચોરી થવાથી ભક્તોમાં ભારે રોષ અને દુઃખની લાગણી ફેલાઈ છે. ચોરોએ ધર્મસ્થાનની પણ મર્યાદા રાખી નથી. આ ઘટનાથી નિર્માણ કાર્યમાં પણ અવરોધ ઉભોં હતો.ગામલોકોએ પોલીસને તાત્કાલિક આ ચોરોને ઝડપી પાડવાની અને કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી.

