તાજેતરમાં ગેરકાયદેસર દબાણોના કારણે વડોદરા શહેરમાં વિશ્વામિત્રીનું પાણી ફરી વળતાં તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે તેવામાં મહીસાગર જિલ્લા વડામથક લુણાવાડામાંથી પસાર થતી વેરી નદીની આસપાસના બાંધકામો અંગે અનેક પ્રશ્નો ઉઠવા પામ્યા છે. ભવિષ્યમાં વડોદરા જેવી સ્થિતિ લુણાવાડામાં શહેરમાં થવાની શક્યતા પર્યાવરણ પ્રેમીઓ વ્યકત કરી રહ્યા છે ત્યારે નદી કિનારે થતાં બાંધકામો સરકારના નિયમો અનુસાર થાય તે જરૂરી બન્યું છે. હાલમાં મહીસાગર જીલ્લા મથક લુણાવાડામાં ગેરકાયદેસર બાંધકામો તેમજ ગેરકાયદેસર માટી પુરાણ કરી ખનીજ ચોરીનું દૂષણ વધ્યું છે ત્યારે ખનીજ વિભાગે એક બિલ્ડરને ગેરકાયદેસર માટી પુરાણ બાબતે લાખોની દંડનીય નોટિસ ફટકારતાં ખનીજચોરોમાં ફફડાટ ફેલાયો છે.
સમગ્ર પ્રકરણની વિગત એવી છે કે લુણાવાડા નગરમાં વેરી નદીના કિનારે નંદન બીઝનેસ હબ બની રહ્યું છે. આ નવીન નિર્માણાધીન બાંધકામમાં મુખ્ય હાઈવેથી સદર બાંધકામની વચ્ચેનો ભાગ ગેરકાયદેસર રીતે માટી પુરાણ કરી દીધો હતો જેની જાણ મહીસાગર ખાણ ખનીજ વિભાગ થતાં તેમની ટીમ દ્વારા ગત ૨૯/૦૫/૨૦૨૪ ના રોજ લુણાવાડાના સર્વે નંબર. ૪૭૪ પૈકી વાળી જમીનમાં આવેલ નંદન બીઝનેસ હબ ખાતે તપાસ કરવામાં આવી હતી. જેમાં ૭૬૪૭.૫૨ મે.ટન સાદી માટી ખનીજનું ગેરકાયદેસર સંગ્રહ કરેલ હોવાનું સાબિત થયું હતું. જે અંગે નંદન બીઝનેસ હબને સાદી માટી ખનીજનું ગેરકાયદેસર સંગ્રહ કરવા બદલ તથા એન્વાયરમેન્ટ કમ્પેન્શેશન મુજબ કુલ રૂપિયા. ૧૮,૮૭,૦૨૫ /- (અંકે રૂપિયા અઢાર લાખ સત્તયાસી હજાર પચીસ પૂરા) દંડકીય રકમ ભરપાઈ કરવા મહીસાગર જીલ્લા ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ વિભાગ દ્વારા કસૂરદારને નોટીસ પાઠવવામાં આવેલ છે.ખાણ ખનીજ વિભાગની કાર્યવાહીથી ખનીજ ચોરોમાં ફફડાટ ફેલાયો છે. ત્યારે સદર માટી પુરાણ પાલિકા હસ્તકની જમીનમાં થયેલ છે ત્યારે પાલિકા તંત્ર ગેરકાયદેસર માટી પુરાણ દૂર કરાવવા કાયદેસરની કાર્યવાહી કરશે કે કેમ તે સવાલો ઊભા થઈ રહ્યા છે!?

