દાહોદ તાલુકાની દેસાઈવાડા પ્રાથમિક શાળામાં તારીખ 15/06/2024 થી 22/06/2024 દરમિયાન ‘Eco Clubs For Misson Life’ અંતર્ગત શાળાના શિક્ષિકા બહેન શ્રીમતી નિલમબેન જાદવ દ્વારા વિવિધ પ્રવૃત્તિઓ યોજવામાં આવી હતી.દેસાઈ વડા શાળાનાં વિદ્યાર્થીઓ સ્થાનિક વિસ્તારમાં ઉગાડવામાં આવતી વિવિધ વનસ્પતિઓથી માહિતગાર થાય તે હેતુથી દાહોદ વિસ્તારનાં અનાજ માર્કેટ પાસે આવેલ શાકભાજી, ફળો અને ફૂલોની વાડીની મુલાકાત કરાવવામાં આવી. વાડીના માલિક દ્વારા વિદ્યાર્થીઓને વાડીમાં ઉગાડવામાં આવતાં વિવિધ શાકભાજી, વિવિધ ફળો, વિવિધ ફૂલો ઉપરાંત વિવિધ વનસ્પતિઓથી વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યાં. વિદ્યાર્થીઓને અલગ અલગ વનસ્પતિઓ વિશે જાણવાની તેમજ કુદરતના સાનિધ્યમાં મુક્ત રીતે હરવા-ફરવાની ખૂબ જ મજા આવી હતી.પોષણયુક્ત ખોરાકનો સ્વીકાર’ થીમ અંતર્ગત શાળામાં કિચન ગાર્ડનનું નિર્માણ પણ કરવામાં આવ્યું, જેમાં શાળાનાં ધોરણ 6 થી 8 નાં વિદ્યાર્થીઓ દ્વારા નકામું વેસ્ટ મટીરીયલ જેમકે પ્લાસ્ટિકની બોટલ, તૂટેલી ડોલનો ઉપયોગ કરી શાકભાજીનાં બીજ રોપવાની પ્રવૃત્તિ કરવામાં આવી. શાળાનાં શિક્ષિકા શ્રીમતી નીલમબેન જાદવ દ્વારા વિદ્યાર્થીઓને વૃક્ષારોપણનું મહત્વ સમજાવવામાં આવ્યું તેમજ વિદ્યાર્થીઓને તેમનાં ઘરે કિચન ગાર્ડન બનાવવા અને તેની જાળવણી કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યાં.ઇલેક્ટ્રોનિક કચરાનો યોગ્ય નિકાલ’ થીમ અંતર્ગત વિદ્યાર્થીઓને શાળાનાં શિક્ષિકા નીલમબેન જાદવ અને લક્ષ્મીબેન કેવલાણી દ્વારા ઇલેક્ટ્રોનિક કચરાનાં યોગ્ય નિકાલ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું તેમજ શાળાનાં પ્રોજેક્ટર પર ઇલેક્ટ્રોનિક કચરો કોને કહેવાય, તેનો યોગ્ય નિકાલ કઈ રીતે કરવો તે વિશેના વિડીયો બતાવી વિસ્તૃત માહિતી આપવામાં આવી. જૂનો ઇલેક્ટ્રોનિક સામાન ફેંકવા માટે શાળામાં ઈ-વેસ્ટ કલેક્શન પોઇન્ટ નક્કી કરવામાં આવ્યું. આ ઉપરાંત કચરાનો યોગ્ય નિકાલ કરવા માટે વિદ્યાર્થીઓને ભીનો કચરો અને સૂકો કચરો અલગ-અલગ નાખવા સમજાવવામાં આવ્યું. ‘ઉર્જા બચાવો’ અભિયાન અંતર્ગત શાળાનાં વિદ્યાર્થીઓને ટ્યુબલાઈટ, પંખાની જરૂર ન હોય ત્યારે તેની સ્વીચ બંધ કરવા માટે સમજાવવામાં આવ્યું. આ માટે શાળા કક્ષાએ એક એનર્જી ટીમની રચના કરવામાં આવી, જેમને વિદ્યુત ઉપકરણોની દેખરેખ રાખવાનું સોંપવામાં આવ્યું. શાળાનાં ધોરણ 6 થી 8 નાં વિદ્યાર્થીઓ દ્વારા ઉર્જા સંરક્ષણનું મહત્વ બતાવતા વિવિધ પોસ્ટરો, ચિત્રો તૈયાર કરવામાં આવ્યાં. સોલર પેનલનાં મહત્વ અને ઉપયોગ વિશે માહિતી આપવા નજીકમાં સોલર પેનલ લાગેલ ઘરની મુલાકાત ધોરણ 6 થી 8 નાં વિદ્યાર્થીઓને લેવડાવવામાં આવી અને સોલાર પેનલ વિશે પ્રાથમિક માહિતી આપવામાં આવી.શાળાનાં ધોરણ 6 થી 8 નાં વિદ્યાર્થીઓ દ્વારા એક પર્ણપોથી પણ તૈયાર કરવામાં આવી, જેમાં વનસ્પતિઓના પાનની ઓળખ વિદ્યાર્થીઓને થાય તે હેતુથી સંગ્રહ કરવામાં આવેલ અલગ-અલગ વનસ્પતિઓના પાન ચોંટાડી તેની નીચે તેનાં નામ લખવામાં આવ્યાં.સિંગલ યુઝ પ્લાસ્ટિકને ના કહો’ અભિયાન અંતર્ગત શાળાનાં તમામ વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા ‘પ્લાસ્ટિકનો ઓછામાં ઓછો ઉપયોગ કરીશું’ એવો સંકલ્પ લેવામાં આવ્યો. વિદ્યાર્થીઓને પ્લાસ્ટિકના ઉપયોગથી પર્યાવરણને થતાં નુકસાન વિશે માહિતી આપવામાં આવી તેમજ શક્ય બને તેટલો પ્લાસ્ટિકનો ઓછો ઉપયોગ કરવા માટે વિદ્યાર્થીઓને જણાવવામાં આવ્યું.આ રીતે વર્ષની શરૂઆતમાં જ દેસાઈવાડા પ્રાથમિક શાળામાં શ્રીમતી નીલમબેન જાદવના માર્ગદર્શન હેઠળ ઈકો ક્લબ અંતર્ગત વિવિધ પ્રવૃત્તિઓ શાળાનાં વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવી.

