અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંધ પ્રેરિત રાષ્ટ્રીય સંયુક્ત મોરચો ગુજરાત દ્વારા ૯ માર્ચ ૨૦૨૪ ના રોજ સત્યાગ્રહ છાવણી, ગાંધીનગર ખાતે યોજાયેલ મહાપંચાયત કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી કેસરી ખેસ, ધજા-પતાકા, સાફા, કેસરી પહેરવેશ પહેરી સમગ્ર ગુજરાતના કાર્યકર્તાઓ સદસ્ય તથા પદાધિકારીઓ ઉમટી પડ્યા. કેસરિયા વસ્ત્રોમાં સજ થઈ આવેલ માતૃશક્તિ એ રંગ રાખ્યો. સમગ્ર ગુજરાતમાંથી 36,000 થી વધુ શિક્ષક અને કર્મચારીઓ ઉમટી પડ્યા. સમગ્ર સત્યાગ્રહ છાવણી કેસરિયા રંગમાં ફેરવાઈ. અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના નવ સંવર્ગ, ભારતીય મજદૂર સંઘ, નિવૃત્ત કર્મચારી મંડળ તથા અન્ય 75 થી વધુ સંગઠનોના આહવાનની જબરજસ્ત અસર દેખાઈ. મહાપંચાયતમાં વિવિધ સંવર્ગ તથા સાથી સંગઠનોના અધ્યક્ષના આહવાન બાદ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના અધ્યક્ષ ભીખાભાઈ પટેલ દ્વારા મહાપંચાયતમાં રજૂ કરાયેલ પ્રશ્નોની છણાવટ કરી પ્રશ્નોના સત્વરે ઉકેલ માટે મહાપંચાયતમાં ઉપસ્થિત સૌને આગળની રણનીતિ શું નક્કી કરવી? તે અંગે પ્રસ્તાવ મુકતા સૌએ અનિશ્ચિત કાળ માટે મહાપંચાયતના સ્થળ સત્યાગ્રહ છાવણી ખાતે બેસવાની માંગ મૂકી, જેને અધ્યક્ષશ્રી એ વાચા આપી અનિશ્ચિતકાળ માટે સભાસ્થળ પર સૌની સાથે બેસવાનું એલાન કર્યું. જેને સભામાં ઉપસ્થિત સૌએ ઓમ ધ્વનિથી સ્વીકારી સૌ પોતાના સ્થાને અનિશ્ચિતકાળ માટે પડતર માંગણીઓના ઉકેલ માટે બેસી ગયા.
જૂની પેન્શન યોજના સહિત સરકાર સાથે થયેલ ઠરાવો અને પડતર પ્રશ્નોના ઉકેલની માંગણી સરકાર સમક્ષ સંગઠન દ્વારા કરવામાં આવી. મહાપંચાયતમાં રામધૂન, જય શ્રી રામના નારા કેસરિયા માહોલ તથા અનિશ્ચિતકાળ માટે મહાપંચાયત ચાલુ રાખવાના નિર્ણયથી સરકાર હરકતમાં આવી. સંગઠનના મહત્વપૂર્ણ પદાધિકારીઓ સમક્ષ સરકાર દ્વારા વિવિધ પ્રસ્તાવો મુકતા સક્ષમ મંત્રીશ્રી સાથે ચર્ચા વિચારણાની માંગ સંગઠન દ્વારા મૂકવામાં આવી તેના પ્રતિઉત્તર માં સરકારશ્રી દ્વારા શિક્ષક અને કર્મચારીઓની લાગણી સમજી માનનીય ગૃહરાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીને આ અંગે ચર્ચા નો દોર આગળ ધપાવવા જવાબદારી સોંપી. માનનીય ગૃહ રાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવી દ્વારા સંગઠનના પાંચ પદાધિકારીઓને તેઓના નિવાસસ્થાને પોલીસ પ્રોટેક્શનમાં ચર્ચા વિચારણા માટે આમંત્રિત કરવામાં આવ્યા. રાષ્ટ્રીય સંયુક્ત મોરચાના સંયોજક તથા અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના રાષ્ટ્રીય સચિવ અને ગુજરાત પ્રાંતના અધ્યક્ષ ભીખાભાઈ પટેલ, મહામંત્રી મિતેષભાઇ ભટ્ટ, અતિરિક્ત મહામંત્રી પરેશભાઈ પટેલ, પ્રાંત કોષાધ્યક્ષ રમેશભાઈ ચૌધરી, શિક્ષક તથા કર્મચારીઓના પ્રતિનિધિ લાખાભાઈ ચુડાવદરા તથા અમૃતભાઈ કટારા સાથે સકારાત્મક વાતાવરણમાં ચર્ચા વિચારણા થઈ. સંગઠન દ્વારા રજુ કરવામાં આવેલ પ્રશ્નો તથા સમાધાન મુજબના ઠરાવ બહાર પાડવા માટે માનનીય ગૃહરાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી દ્વારા અંગત રીતે ફૉલોઅપ લઈ માનનીય મુખ્યમંત્રીશ્રીના આવ્યા બાદ આ બાબતથી અવગત કરાવી ટૂંક સમયમાં સંગઠનના પદાધિકારીઓ સાથે બેઠક યોજી પ્રશ્નોના સત્વરે ઉકેલ માટે ખાત્રી આપી. આગામી બે દિવસોમાં આ અંગે બેઠક યોજાશે.
સંગઠનના પ્રતિનિધિઓના પ્રતિનિધિ મંડળે ચર્ચા વિચારણા બાદ પરત પરત ફરતાં હજારોની સંખ્યામાં અનિશ્ચિતકાળ માટે મહાપંચાયત ચાલુ રાખી બેઠેલ શિક્ષક તથા કર્મચારીઓને મંત્રીશ્રી સાથે થયેલ ચર્ચા વિચારણા તથા મંત્રીશ્રી દ્વારા અપાયેલ ખાતરી અંગે સૌને વાકેફ કર્યા. સૌ પદાધિકારીઓ તેમજ આવેલ શિક્ષક અને કર્મચારીઓએ આ વાતને સ્વીકારી મહાપંચાયત પૂર્ણ થયાની જાહેરાત કરી !!
જુના શિક્ષકોની બદલી, સાતમા પગારપંચ મુજબ ભથ્થા તથા માતૃત્વ ની રજાઓનોપ્રશ્ન અને એચ ટાટ ના નિયમો બનાવવા માટે આગામી મંગળવાર નિર્ણાયક બનશે !!

