સંકેત પંડ્યા – એડિટર
શિવરાત્રી મહાપર્વના દિવસે ભગવાન શંકર અને પાર્વતી માતાજીનું મિલન થયું હોવાથી સનાતન હિન્દુ સંસ્કૃતિમાં કોઈ લગ્ન પ્રસંગ યોજવામાં આવતો નથી, પરંતુ ગોધરાના એક શિવ ભક્ત યુવક રિષભ પટેલે પોતાના લગ્નનું શિવરાત્રીના દિવસે જ ભવ્ય આયોજન કરી પોતાની શિવ ભક્તિને અનોખી રીતે ઉજાગર કરી છે. રિષભ પટેલ વરઘોડામાં પણ શિવજીની વેશભૂષા સાથે જ વાજતે ગાજતે નીકળ્યો હતો અને ત્યારબાદ અંકલેશ્વર મહાદેવના દર્શન કરી લગ્નવિધિ પણ અંકલેશ્વર મહાદેવ મંદિર માં જ સંપન્ન થઈ હતી.

પોતાના લગ્ન પ્રસંગને યાદગાર બનાવવા માટે લોકો ઘણું કરતા હોય છે. પંચમહાલ જિલ્લાના ગોધરાના એક યુવકનો વરઘોડો એક અનોખો વરઘોડો જોવા મળ્યો હતો. આ યુવક શિવજીનો આ ભક્ત છે, જેને લઈ આ યુવકે મહાશિવરાત્રીના દિવસે શિવજીની વેશભૂષા ધારણ કરી ગોધરા શહેર માંથી વરઘોડો કાઢ્યો હતો. મહાશિવરાત્રીના પર્વે લગ્ન અને વરરાજા શિવજીના વેશમાં જોતા સમગ્ર શહેર આશ્ચર્ય માં મુકાયું હતું. ગોધરામાં રહેતો કાછીયા સમાજનો યુવક રિષભ પટેલ વર્ષોથી શિવ ભક્તિમાં લીન છે. રિષભ અને તેના સાથી મિત્રો પણ અચૂક શિવરાત્રી પર્વ દરમિયાન ગોધરાના અંકલેશ્વર મહાદેવ મંદિરમાં ખાસ સુશોભન સાથે મંદિરમાં અલગ અલગ થીમ તૈયાર કરી દર્શનાર્થીઓને અનેરા દર્શનનો લ્હાવો પૂરો પાડવાનો પ્રયાસ કરતાં હોય છે. રિષભ પટેલ હિન્દુ સમાજને લગતી પ્રવૃત્તિઓની માનસિકતા પણ ધરાવે છે. રિષભ પટેલની જીવનશૈલી પણ અન્ય યુવકોની સરખામણીએ જરા હટકે છે. રિષભ પોતાના લાંબા વાળ અને દાઢી સાથે કપાળ માંથી તિલક સ્વરૂપમાં કાયમ જોવા મળતો હોય છે. રિષભની શિવ ભક્તિ તો સૌ જાણે છે. ત્યારે આજથી ૫ વર્ષ અગાઉ રીષભે પોતાના લગ્ન માટે એક સંકલ્પ કરેલ હતું અને આ સંકલ્પ તેઓના પોતાના લગ્ન માટે કરેલ હતું. જેમાં તેઓ શિવરાત્રીના દિવસે જ લગ્ન કરશે, રિષભ પટેલે પોતાની પસંદગી મુજબ યુવતીની પસંદગી કરી હતી. જે પણ રિષભની શિવ ભક્તિમય માનસિકતા સાથે જોડાઈ ગઈ હતી. અને તેના સાચા સાથી સ્વરૂપમાં સાથ આપવાનું નક્કી કર્યુ હતું. ત્યારે રિષભ પણ તેના સ્વજનોને શિવરાત્રીના દિવસે પોતે લગ્ન કરવાનું જણાવી દીધા બાદ લગ્નનું આગોતરૂ આયોજન કર્યુ હતું. રિષભે લગ્ન પણ ગોધરાના અંકલેશ્વર મહાદેવ મંદિર ખાતે જ કરવા માટે મંદિરને સુશોભન કરી સજાવી દીધા બાદ લગ્ન કર્યા હતા. શિવરાત્રીને સંધ્યાએ વાજતે ગાજતે ઢોલ નગારા અને ડીજેના સથવારે રિષભનો વરઘોડો ગોધરા શહેરમાં નીકળ્યો હતો. દરમિયાન રિષભ શિવ વેશભૂષા સાથે હાથમાં ત્રિશૂળ ધારણ કરી વરઘોડામાં નીકળ્યો હતો. રિષભના વરઘોડામાં સાધુ બાવાઓ પણ જોડાયા હતા. જેથી રિષભનો વરઘોડો ગોધરા શહેરમાં એક આકર્ષણનું કેન્દ્ર બની રહ્યો હતો. વરઘોડામાં પણ શિવભક્તિમય ગીતો અને ભજનોની રમઝટ વચ્ચે સમગ્ર વિસ્તાર શિવમય બની ગયો હોય એવા દ્રશ્યો જોવા મળ્યા હતા.

