તાજેતરમાં જ ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) ખાતે ગ્રેજ્યુએટ સ્કૂલ ઑફ મેનેજમેન્ટ સ્ટડીઝ દ્વારા “ આરોગ્યમ પ્રબંધમ – ધ ન્યૂ એરા ઑફ હેલ્થકેર” વિષય પર કોન્કલેવનું આયોજન કરવામાં આવ્યું હતું. કોન્કલેવના ઉદ્ધાટન પ્રસંગે મુખ્ય અતિથિ સ્થાને જાણીતા ન્યૂરોલોજીસ્ટ અને પદ્મશ્રી ડૉ. સુધીર શાહ ઉપસ્થિત રહીને જણાવ્યું હતું કે , ટેક્નોલોજી આધારીત રિસર્ચ ન્યૂરો સાયન્સ ક્ષેત્રે નવી દિશા ચિંધશે. પાર્કેસન્સ જેવા ગંભીર રોગમાં પણ શસ્ત્રક્રિયા કરીને મગજના ચેતાતંતુઓની ખામીઓ દૂર કરી શકાશે. વિશેષમાં તેમણે આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સ અને રોબોટીક્સ ટેક્નોલોજી થકી ટેલિમેડિસીન દ્વારા ગ્રામ્ય વિસ્તારના દરેક જન સામાન્ય સુધી પણ સહેલાઈથી મેડિકલ સેવા પૂરી પાડી શકાશે તે મુદ્દે ચર્ચા કરી હતી.
જીટીયુના કુલપતિ પ્રો. ડૉ. નવીન શેઠે જણાવ્યું હતું કે , મેડિકલ સાયન્ય અને ફાર્મા ઉદ્યોગમાં ગુજરાત સમગ્ર દેશમાં અગ્રેસર રાજ્ય છે. આ પ્રકારના કોન્કલેવથી રીસર્ચકર્તાઓને માર્ગદર્શન સહિત સકારાત્મક પ્રેરણા મળશે. જીટીયુના કુલસચિવ ડૉ. કે. એન. ખેરે જીટીયુ જીએસએમએસના ડાયરેક્ટર ડૉ. પંકજરાય પટેલ અને કાર્યક્રમના કો- ઓર્ડિનેટર્સ ડૉ. કૌશલ ભટ્ટ, શ્રી શ્વેતા પઢ અને શ્રી હેતલ રાઠોડને સફળ આયોજન બદલ અભિનંદન આપ્યા હતાં. કોન્કલેવમાં મેડિકલ સાયન્સના વિદ્યાર્થીઓથી લઈને ડોક્ટર્સ , ફાર્માસીસ્ટ અને મેડિકલ પ્રોફેશનલ્સ સહિત 150થી વધુ લોકો હાજર રહ્યાં હતાં.
આ દરમિયાન અમદાવાદ સિવિલ હોસ્પિટલના મેડિકલ સુપ્રિટેન્ડેન્ટ ડૉ. રાકેશ જોષીએ “મેડિકલ પ્રેક્ટિસમાં તકો અને પડકારો તેમજ હોસ્પિટલ અને નર્સિંગ હોમ મેનેજમેન્ટ” વિષય પર માર્ગદર્શન આપ્યું હતું. કે.ડી. હોસ્પિટલના ડૉ. પાર્થ દેસાઈએ “મેડિકલ સર્વિસ એક્સલેન્સ” વિષય પર જ્યારે “ફ્યુચર ઑફ હોસ્પિટલ – ડિજીટલાઈઝેશન અને આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સ ઈન હોસ્પિટલ” વિષય પર જીટીયુ સ્કૂલ ઑફ એપ્લાઈડ સાયન્સ એન્ડ ટેક્નોલોજીના પ્રોફેસર ડૉ. ભાવીન પારેખ તથા “મોર્ડન સોલ્યુશન ફોર ઈફેક્ટિવ હોસ્પિટલ માર્કેટીંગ” વિષય પર હેયાન કન્સ્ટિંગના ડાયરેક્ટર શ્રી નેહલ દિક્ષિતે તેમજ વિશેષમાં ડિજીટલાઈઝેશન અને આર્ટીફિશ્યલ ઈન્ટેલિજન્સ , હોસ્પિટલ માર્કેટીંગ અને મેનેજમેન્ટ જેવા વિષય પર અન્ય તજજ્ઞો દ્વારા પણ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.

