સંકેત પંડ્યા – એડિટર
વિધાનસભાની ચૂંટણી ઉંબરે ઉભી છે ત્યારે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલ આગામી ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે મુખ્યમંત્રી પદના ઉમેદવારની જાહેરાત કરશે. રાજ્યમાં 182 સભ્યોની ગુજરાત વિધાનસભા માટે બે તબક્કામાં 1 અને 5 ડિસેમ્બરે મતદાન થશે. 8મી ડિસેમ્બરે મતગણતરી હાથ ધરાશે. આમ આદમી પાર્ટીની એન્ટ્રીએ આ ચૂંટણીને રસપ્રદ બનાવી છે, કારણ કે ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં 27 વર્ષથી સત્તામાં છે. જ્યારે કોંગ્રેસ એ બીજો પક્ષ તરીકે જ છેલ્લા 27 વર્ષથી છે. ત્યારે લોકોને પણ મોટી પાર્ટીનો નવો ઓપ્શન મળ્યો છે.
કેજરીવાલે રાજ્યના લોકોના અભિપ્રાયના આધારે તેમની પાર્ટીના મુખ્યમંત્રી પદના ઉમેદવારના નામની જાહેરાત કરવાને લઈને નક્કી કર્યું છે. આપ પાર્ટીએ નંબર અને ઈમેલ આઈડી જારી કરી આપનો ઉમેદવાર કોણ હોવો જોઈએ તેની જાહેરાત કરવા નક્કી કર્યું છે. ત્યારે આજે સાંજ સુધીમાં અભિપ્રાયના આધારે આ ચહેરો આજે જાહેર થશે.
29 ઓક્ટોબરના રોજ કેજરીવાલે લોકોને એસએમએસ, વોટ્સએપ, વોઈસ મેઈલ અને ઈ-મેલ દ્વારા પાર્ટીનો સંપર્ક કરવા અને રાજ્યમાં પાર્ટીના મુખ્યમંત્રી પદના ઉમેદવાર કોણ હોવા જોઈએ તે જણાવવાની અપીલ કરી હતી. જેના આધારે આજે બહુંમતીના જોરે આ નિર્ણય લેવાશે.
મુખ્યમંત્રી પદની રેસમાં આ ચહેરાઓ
મુખ્યમંત્રીની રેસમાં સામેલ છે તેવા નામોનો ક્યાસ કાઢીએ તો આપ પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયા, રાષ્ટ્રીય મહાસચિવ ઇસુદાન ગઢવી, મહાસચિવ મનોજ સોરઠિયાનો પણ સમાવેશ થાય છે. કેજરીવાલ આજે અમદાવાદમાં પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી આપ પાર્ટીના મુખ્યમંત્રી પદના ઉમેદવારનું નામ જાહેર કરશે.

