સંકેત પંડ્યા – એડિટર
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય માહોલ ગરમ થતો જઈ રહ્યો છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા જ ધારાસભ્ય પર હુમલાની ઘટના બની હતી. ગુજરાતના ધારાસભ્ય અનંત પટેલ પર હુમલો થયો હતો તે અંગે આજે ગુજરાત કોંગ્રેસના પ્રભારી રઘુ શર્માએ એક નિવેદન આપ્યું હતું. આ નિવેદનમાં તેમણે કહ્યું હતું કે ગુજરાતમાં આ ધારાસભ્ય પર નહીં પરંતુ આદિવાસી સમાજ પર હુમલો કરવામાં આવ્યો છે.
ગુજરાતમાં વાંસદાના કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ પર ગઈકાલે જીવલેણ હુમલો થયો હતો. ખેરગામ નજીક આવેલા એક કાર્યક્રમમાં હાજરી આપવા માટે જતા હતા તેવા સમયે જ તેના પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. ખેરગામ બજારમાં MLAની કાર પર પથ્થરમારો કર્યો હતો જેના પગલે ધારાસભ્ય અનંત પટેલ ગંભીર રીતે ઘાયલ થયા હતા. કોંગ્રેસના ધારાસભ્ય પર થયેલા આ પ્રકારના હુમલાને લઈને આજે ગુજરાત પ્રદેશ પ્રભારી રઘુ શર્માએ નિવેદન આપ્યું હતું કે આ હુમલો ફક્ત અનંત પટેલ પર થયો નથી પરંતુ સમગ્ર આદિવાસી સમાજ પર થયો છે અને આ હુમલાથી કોંગ્રેસ ક્યારેય ડરશે નહીં પણ ઝુકશે પણ નહીં. આ ઉપરાંત તેમણે કહ્યું હતું કે ભાજપના ઈશારે જ આ હુમલાનું ષડયંત્ર રચાયું છે.
નોંધનીય છે કે ગુજરાતના ધારાસભ્ય પર હુમલા બાદ ખેરગામમાં 5 હજાર કરતા પણ વધારે લોકો ભેગા થયા હતા અને આ લોકોએ જિલ્લા પંચાયત પ્રમુખ ભીખુભાઇ આહીરની દુકાનમાં તોડફોડ કરીને આગ લગાવી દીધી હતી. કોંગ્રેસના રાહુલ ગાંધીએ પણ ટ્વિટ કરીને આ હુમલાનને વખોડી કાઢ્યો હતો તેમજ રઘુ શર્માએ પોતાના ટ્વિટમાં લખ્યું હતું કે અનંત પટેલ લાંબા સમયથી આદિવાસી સમાજ માટે માગોને લઈને ભાજપ સરકાર સામે લડી રહ્યા છે તેમજ તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ પર પણ આંદોલન કરી રહ્યા છે ત્યારે આ હુમલાના વિરોધમાં કોંગ્રેસ પાર્ટી તેમજ આદિવાસી સમાજ અનંત પટેલ સાથે ઉભો છે.

