ફતેપુરા પ્રતિનિધિ શબ્બીરભાઈ સુનેલવાલા
ફતેપુરા.માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીએ તામિલનાડુના કોઇમ્બતુર ખાતેથી “પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના” ના 21મા હપ્તા પેટે સમગ્ર દેશભરના 9 કરોડથી વધુ ખેડૂતોને કુલ ₹18,000 કરોડથી વધુની સહાયનું DBTના માધ્યમથી વિતરણ કર્યું હતું. ખેડૂતોને સન્માન સાથે આર્થિક આધાર આપતા આ કાર્યક્રમનું જીવંત પ્રસારણ ગાંધીનગર ખાતેથી માન. મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ કેબિનેટમંત્રી શ્રી જીતુભાઇ વાઘાણી રાજ્ય મંત્રી શ્રી રમેશભાઈ કટારા, અન્ય મહાનુભાવો તેમજ વિશાળ સંખ્યામાં ઉપસ્થિતિ ખેડૂતો નિહાળ્યું.રાજ્યકક્ષાના કાર્યક્રમ દરમિયાન કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓના લાભાર્થી ખેડૂતોને સરકારની વિવિધ કૃષિલક્ષી યોજનાઓના લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. ગુજરાતના 49.31 લાખથી વધુ ખેડૂત પરિવારોને કુલ ₹986 કરોડથી વધુની સહાય સીધી તેમના બેન્ક ખાતામાં ચૂકવવામાં આવી હતી.રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાન તરીકે આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ ખેડૂતલક્ષી અનેક પહેલ શરૂ કરી છે, જેને આજે રાજ્યના નિખાલસ અને મક્કમ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી સુપેરે આગળ ધપાવી રહ્યા છે.રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો માટે યાંત્રિકરણ, પાક સંરક્ષણ, કૃષિમાં નેનો ટેકનોલોજી અને આઈટીનો ઉપયોગ, પ્રાકૃતિક ખેતી, ઝીરો બજેટ ખેતી, કિસાનો માટે ઉત્પાદન વધે, ખર્ચ ઘટે અને વધુ વેચાણ પણ થાય એ પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી છે. ખેડૂતોના કલ્યાણ માટે સરકાર દ્વારા વાવેતરથી વેચાણ સુધીની યોજનાઓ અમલી બનાવવામાં આવી છે. સરકાર સુધારેલા બિયારણો, ખાતરો, યાંત્રિક ઓજારો, પ્રાકૃતિક ખેતી, કૃષિ રાહત પેકેજ, ટેકાના ભાવની ખરીદીને લગતી યોજનાઓના માધ્યમથી ખેડૂતોને મદદરૂપ થઈ રહી છે. નવીન આઇ ખેડૂત પોર્ટલ ૨.૦ પર અરજી કરી ખેડૂતો અનેક લાભ મેળવી રહ્યા છે.

