રાજ્ય સરકાર દ્વારા ગુજરાતમાં ગુટકા તેમજ તમાકુ કે નિકોટીન યુક્ત પાન-મસાલા વેચાણ, સંગ્રહ અને વિતરણ ઉપર વધુ એક વર્ષનો પ્રતિબંધ લગાવ્યો છે. રાજ્યમાં ગુટકા, તમાકુ કે નિકોટીન યુક્ત પાન-મસાલાના વેચાણ, સંગ્રહ અને વિતરણ ઉપર ફુડ સેફટી સ્ટાન્ડર્ડ એકટ-2006 અન્વયેના નિયમો તથા તેના રેગ્યુલેશન -2011 હેઠળ તા.06 સપ્ટેમ્બર 2025 ના જાહેરનામાંથી તા.13 સપ્ટેમ્બર 2025 થી વધુ એક વર્ષ માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. એમ, કમિશનર ઓફ ફુડ સેફ્ટી, ખોરાક અને ઔષધ નિયમન તંત્રએ ગાંધીનગરમાં આ અંગે માહિતી આપી હતી.
રાજ્ય સરકાર દ્વારા ગુટકા કે પાન મસાલા કે જેમાં તમાકુ કે નિકોટીનની હાજરી હોય તેના વેચાણ, સંગ્રહ અને વિતરણ પ્રતિબંધ મૂકતું નોટીફિકેશન કમિશનર ઓફ ફુડ સેફ્ટી, ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, ગુજરાત રાજ્ય, ગાંધીનગર દ્વારા તા.06 સપ્ટેમ્બર 2025 ના રોજ બહાર પાડવામાં આવ્યું છે. ગુજરાત રાજ્યમાં કોઈ પણ વેપારી ગુટકા કે પાન મસાલા અથવા જેમાં તમાકુ કે નિકોટીનની હાજરી હોય તેનાં વેચાણ, સંગ્રહ અને વિતરણ કરતા માલુમ પડશે તો ઉક્ત કાયદા હેઠળ કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, જો કે તંબાકુ અને પાનમસાલા હાલમાં જે પ્રકારે અલગ અલગ મળે છે તે પ્રકારે વેચી શકાશે. પરંતુ બંન્નેનું મિશ્રણ વેચી શકાશે નહી!!

