Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

બજેટમાં વધી શકે છે મહિલાઓનો હિસ્સો, સત્તાની ચાવી સાબિત થઈ રહી છે મહિલા મતદારો

આગામી બજેટ 2023-24માં મહિલાઓનો હિસ્સો વધી શકે છે. ગત બજેટમાં માત્ર 4.32 ટકા ભાગીદારી સુધી મર્યાદિત રહેલ મહિલાઓ MSME ક્ષેત્રમાં ઔદ્યોગિક કાર્ય કરવા અને શિક્ષણ-સ્વાસ્થ્ય ક્ષેત્રમાં વધુ ભાગીદારી માટે વિશેષ પ્રોત્સાહન યોજના દ્વારા આ વધારો મેળવી શકે છે. સરકાર ટેકનિકલ અને કૌશલ્ય આધારિત શિક્ષણમાં મહિલાઓ માટે વિશેષ યોજનાઓ દાખલ કરી શકે છે. જે રીતે મહિલા મતદાતાઓ ભાજપ માટે સત્તામાં આવવાની ગેરંટી સાબિત થઈ રહી છે અને આ વર્ષે નવ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે, ત્યારે માનવામાં આવી રહ્યું છે કે આ કોર વોટ બેન્કને સાધવા માટે સરકાર તેમના માટે બજેટમાં ખાસ જોગવાઈ કરી શકે છે.

છેલ્લા બજેટમાં મહિલાઓનો હિસ્સો

નાણાકીય વર્ષ 2022-23માં મહિલાઓ માટે 1,71,006 કરોડ રૂપિયાનું બજેટ નક્કી કરવામાં આવ્યું હતું. જે 2021-22માં આપવામાં આવેલા 1,53,326 કરોડ રૂપિયાના બજેટ કરતાં લગભગ 11 ટકા વધુ હતું. જોકે, બજેટમાં મહિલાઓના કુલ હિસ્સાની વાત કરીએ તો અગાઉના બજેટમાં મહિલાઓનો હિસ્સો આંશિક રીતે ઓછો કરવામાં આવ્યો હતો. 2021-22માં બજેટના 4.4 ટકા મહિલાઓના હિસ્સામાં આવ્યા હતા, જ્યારે 2022-23માં આ હિસ્સો ઘટીને 4.32 ટકા થયો હતો.

મહિલા અને બાળ વિકાસ મંત્રાલયને ગયા નાણાકીય વર્ષમાં 25,172.28 કરોડ રૂપિયાનું બજેટ ફાળવવામાં આવ્યું હતું. તેના છેલ્લા બજેટમાં એટલે કે નાણાકીય વર્ષ 2021-22માં આ મંત્રાલયને 24,435 કરોડ રૂપિયાની રકમ ફાળવવામાં આવી હતી. આ રીતે, ગયા વખતે મહિલા અને બાળ વિકાસ મંત્રાલય માટે નિર્ધારિત બજેટમાં આંશિક વધારો થયો હતો. આ વખતે પણ આ ક્રમ ચાલુ રહી શકે છે.

કેન્દ્રની યોજનાઓના કેન્દ્રમાં મહિલાઓ

આર્થિક નિષ્ણાતો માને છે કે કેન્દ્ર સરકારની 80 ટકાથી વધુ કલ્યાણ યોજનાઓમાં મહિલાઓ સીધી રીતે સામેલ છે. પ્રધાનમંત્રી આવાસ યોજના, રાશન યોજના, ઉજ્જવલા યોજના અને મનરેગા સહિતની ઘણી યોજનાઓના કેન્દ્રમાં મહિલાઓ લાભાર્થી છે. મહિલાઓ માટે નિર્ધારિત છેલ્લા બજેટમાં સૌથી મોટો હિસ્સો પ્રધાનમંત્રી આવાસ યોજના દ્વારા આવ્યો હતો.

પીએમ આવાસ યોજનામાં આપવામાં આવતા મકાનોની રજિસ્ટ્રી પરિવારની મહિલા સભ્યોના નામે કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું, જેના કારણે મહિલાઓ માટે નિર્ધારિત બજેટમાં સારો એવો વધારો થયો હતો. માનવામાં આવે છે કે આ યોજનાએ વડાપ્રધાન મોદીની સરકારને મહિલાઓમાં ખાસ કરીને લોકપ્રિય બનાવી છે, મોટી સંખ્યામાં મહિલાઓના મતો મેળવ્યા છે અને તેમના સત્તા પર પાછા ફરવાનો માર્ગ મોકળો કર્યો છે.

મહિલા મતદારો શા માટે મહત્ત્વપૂર્ણ 

સેન્ટર ફોર સ્ટડી ઓફ ડેવલપિંગ સોસાયટીઝ (CSDS)ના અહેવાલ મુજબ, 2007ની યુપી વિધાનસભા ચૂંટણીમાં 32 ટકા મહિલાઓએ BSPને મત આપ્યો અને માયાવતી ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી બન્યા. 2012માં 31 ટકા મહિલાઓએ સમાજવાદી પાર્ટીને મત આપ્યો અને અખિલેશ યાદવ મુખ્યમંત્રી બનવામાં સફળ રહ્યા. 2017માં 41 ટકા મહિલાઓએ ભાજપને મત આપ્યો અને યોગી આદિત્યનાથ મુખ્યમંત્રી બન્યા. 2022ની યુપી વિધાનસભા ચૂંટણીમાં પણ મહિલાઓએ સપા કરતાં ભાજપને 16 ટકા વધુ મતદાન કર્યું હતું અને યોગી આદિત્યનાથ સતત બીજી વખત રાજ્યના મુખ્યમંત્રી બનવામાં સફળ થયા હતા.

હાલમાં જ પૂર્ણ થયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પણ આ જ વલણ જોવા મળ્યું હતું. આ ચૂંટણીમાં મતદાન કરનારા 48% પુરૂષોએ ભાજપને મત આપ્યો, જ્યારે 50% મહિલાઓએ ભાજપની તરફેણમાં મતદાન કર્યું. 2019ની લોકસભા ચૂંટણીમાં મતદાન કરનાર મહિલાઓના 37 ટકા મત ભાજપને મળ્યા હતા. આ ચૂંટણીમાં એવું પણ જોવા મળ્યું હતું કે મહિલાઓની મતદાનની ટકાવારી લગભગ પુરુષોની બરાબરી પર આવી છે. આ લોકસભામાં ઈતિહાસમાં સૌથી વધુ 78 મહિલા લોકસભા સાંસદો ચૂંટાઈ આવી. આ આંકડો મહિલાઓમાં કેન્દ્ર સરકારની લોકપ્રિયતાનો પુરાવો પણ બની શકે છે.

જ્યાં ભાજપની જીત થઈ ત્યાં મહિલાઓની ભાગીદારી વધુ હતી

2022ની શરૂઆતમાં જ પાંચ વિધાનસભા માટે મતદાન થયું હતું. ભાજપે ચાર રાજ્યો (ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, ગોવા અને મણિપુર)માં જીત મેળવી હતી. ચૂંટણી નિષ્ણાંતો આને માત્ર સંયોગ ગણી રહ્યા નથી કે આ તમામ રાજ્યોમાં મહિલાઓએ પુરુષો કરતાં વધુ મતદાન કર્યું હતું. ચૂંટણી પંચના ડેટા અનુસાર, ઉત્તર પ્રદેશમાં 62.2 ટકા મહિલાઓએ મતદાન કર્યું હતું, જ્યારે પુરુષોની ભાગીદારી માત્ર 59.6 ટકા હતી. એ જ રીતે ઉત્તરાખંડમાં 62.6 ટકા પુરૂષ મતદારોની સરખામણીએ 67.6 ટકા મહિલા મતદારોએ મતદાન કર્યું હતું. મણિપુરમાં 81 ટકા મહિલાઓ, 78.2 ટકા પુરુષો અને ગોવામાં 90.5 ટકા મહિલાઓએ મતદાન કર્યું હતું, જયારે 87.9 ટકા પુરુષોએ મતદાન કર્યું હતું.

ભાજપના વ્યૂહરચનાકારોનું માનવું છે કે કેન્દ્ર સરકારની મહિલા કેન્દ્રિત યોજનાઓ ભાજપ માટે તેમનું સમર્થન વધારી રહી છે. લોકસભા ચૂંટણીની સાથે-સાથે વિધાનસભાની ચૂંટણીમાં પણ આ વલણ રહ્યું છે. આ જ કારણ છે કે આ વખતે પણ કેન્દ્ર સરકારના બજેટમાં મહિલાઓ પ્રત્યે વિશેષ હિસ્સો જોવા મળી શકે છે.

Share

Related posts

બલૈયા પંથકમાં પુનઃ કમોસમી વરસાદ થતાં ખેડૂતોના પાક સહિત ઘાસમાં સંપૂર્ણ નુકસાન

gujaratjanekta

ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા ખાતે પહેલગાંવ ખાતે આતંકવાદના કૃત્યને વખોડી મુસલમાન ઘાંચી સમાજ ફતેપુરા દ્વારા મૌન રેલી કાઢવામાં આવી

gujaratjanekta

વોક ઈન ઈન્ટરવ્યુઅર્બન હોસ્પિટલ,રળીયાતી ,દાહોદ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial