પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં ‘યુ.કે. અને યુરોપ દિવસની ઉજવણીમાં સહભાગી થતા કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ તથા આવાસ અને શહેરી બાબતોના મંત્રી શ્રી હરદીપ સિંહ પુરીએ જણાવ્યું કે, “હું આજે ખૂબ જ ગૌરવ અનુભવું છું કારણ કે આજે પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં હાજર રહેવા મળ્યું. પ્રમુખસ્વામી મહારાજે દુનિયાને સંતત્વ અને સાદગી શીખવાડી છે. તેઓ સાચા અર્થમાં સમગ્ર “માનવજાત ના ગુરુ” હતા. તેમણે કહ્યું કે, ભુજ ભૂકંપ વખતે પ્રમુખસ્વામી મહારાજ દ્વારા પ્રેરિત BAPS સંસ્થાએ કરેલા રાહતકાર્યો અને યુકેન યુદ્ધ વખતે મહંતસ્વામી મહારાજ અને BAPS સંસ્થાના સ્વયંસેવકોએ કરેલા રાહતકાર્યો અભૂતપૂર્વ છે. તેના માટે હું આપનો આભારી છું કારણકે હું એ રાહતકાર્યોનો સાક્ષી રહ્યો છું. આજે આ BAPS સંસ્થા સમગ્ર વિશ્વમાં ભારતીય સંસ્કૃતિ, ભારતીય મૂલ્યો અને આદર્શોને જીવંત રાખવા સતત પ્રયત્નશીલ છે.”
પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં સહભાગી બનતા કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરી અને જનરલ ડૉ. વી.કે.સિંહ
આ પ્રસંગે ઉપસ્થિત ભારત સરકારના માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ, નાગરિક ઉડ્ડયન રાજ્ય મંત્રી શ્રી જનરલ. ડો.વી.કે. સિંહે જણાવ્યું કે,“હું ૮૦,૦૦૦ સ્વયંસેવકોને વિનંતી કરું છું કે તમે તાળીઓથી ખુદને વધાવી લો, કારણકે તમે ખુબ મોટું સમર્પણ કર્યું છે અને જે કાર્ય BAPS સ્વામિનારાયણ સંસ્થા દ્વારા કરવામાં આવે છે તે બીજે ક્યાય જોવા મળતું નથી. તેમણે કહ્યું કે, BAPS સંસ્થા દેશ અને માનવતા માટે દરેક કુદરતી અને કૃત્રિમ આપતિઓ વખતે સતત પ્રયત્નશીલ રહી છે અને યુક્રેન યુદ્ધ વખતે ૧૧ દેશોના સ્વયસેવકોએ આવીને રાહતકાર્યનો આરંભ કર્યો હતો. તે માટે હું આ સંસ્થા અને સ્વયંસેવકોને શત શત નમન કરું છું. પ્રમુખસ્વામી મહારાજ એવા વિરલ સંત હતા જેઓ જન જનના હૈયા સુધી પહોચ્યા હતા અને દરેકના પ્રશ્નો સાંભળીને તેઓને શાતા આપી છે.”
યુ.કે. અને યુરોપના દેશોમાં પ્રમુખસ્વામી મહારાજે કરેલા સનાતન સંસ્કૃતિ ની ઉન્નતિના કાર્યો વિશે સંતો અને હરિભક્તોએ વિવિધ રજૂઆતો કરી હતી. ‘IN HIS OWN WORDS’ થીમ સાથે પ્રમુખસ્વામી મહારાજે યુ.કે. અને યુરોપના લોકોની સર્વાંગ પ્રગતિ માટેના યોગદાન ને મંચ પર પુનઃજીવિત કરવામાં આવ્યું હતું.
આજના અવસરે યુ.કેના બ્રેન્ટ નોર્થના સંસદ સભ્ય, પદ્મશ્રી બેરી ગાર્ડિનર અને હેરો ઈસ્ટના સંસદ સભ્ય, પદ્મશ્રી બોબ બ્લેકમેન તેમજ ભારતમાં બ્રિટિશ હાઈ કમિશનર એલેક્સ એલિસે હાજરી આપી પ્રમુખસ્વામી મહારાજને શબ્દ પુષ્પાંજલિ અર્પણ કરી હતી. ગુજરાત અને રાજસ્થાનના બ્રિટિશ ડેપ્યુટી હાઇ કમિશનર પીટર કૂક ઉપસ્થિત રહ્યા હતા. સાથોસાથ મહારાષ્ટ્ર સરકારના કેબિનેટ મંત્રી ડો. વિજયકુમાર કૃષ્ણરાવ અને નિવૃત્ત એર માર્શલ પી.કે. મહેરા સહિતના મહાનુભાવો જોડાયા હતા. આ ઉપરાંત યુ.કે અને યુરોપ સહિત દેશ-વિદેશના સંતો-હરિભક્તોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી.

