દૂધસાગર ડેરી દ્વારા હંગામી ધોરણે રાખવામાં આવેલા 40 જેટલા કર્મચારીઓને ઓડિટરના વાંધાને પગલે છુટા કરાયા છે. એક વર્ષ માટે સ્ટાઇપેન્ડ ઉપર હંગામી ધોરણે રાખવામાં આવેલા તમામ કર્મચારીઓ રાજસ્થાનના અલગ અલગ પ્લાન્ટમાં ફરજ બજાવતા હતા.
વિપુલ ચૌધરીના ચેરમેન તરીકેના કાર્યકાળ દરમિયાન દૂધસાગર ડેરી દ્વારા 2013-14ના વર્ષમાં ગણપત વિદ્યાનગર સાથે સમજૂતી કરી નોકરી આપવાની વાત સાથે પોતાની માતાના નામે કંકુબા પશુપાલન વિદ્યાપીઠમાં બેચલર ઓફ મિલ્ક પ્રોક્યોરમેન્ટ મેનેજમેન્ટ નામનો અભ્યાસક્રમ શરૂ કરાયો હતો. જેમાં વિદ્યાર્થીઓએ અભ્યાસ કર્યા બાદ 2017-18ના વર્ષમાં વિપુલ ચૌધરી અને નિયામક મંડળ દ્વારા આ વિદ્યાર્થીઓને નોકરી આપવાની ના પાડતાં હંગામો થયો હતો. બીજીતરફ ડેરીમાં નિયામક મંડળ બદલાતાં ચેરમેન અશોક ચૌધરીએ તેમના હિતમાં તમામ 40 વિદ્યાર્થીઓને એક વર્ષ માટે હંગામી ધોરણે સ્ટાઇપેન્ડ ઉપ૨ રાજસ્થાનના અલગ અલગ પ્લાન્ટમાં નોકરી આપી હતી. વિદ્યાર્થીઓને નોકરી આપ્યા બાદ નિયામક મંડળ બદલાતા જ તેમને નોકરીમાથી કાઢી મુકતા મોટો વિવાદ ઉદ્દભવ્યો છે. આ પ્રકારની કામગીરીને લીધે ભવિષ્યમાં પશુપાલન વિદ્યાપીઠમાં બેચલર ઓફ મિલ્ક પ્રોક્યોરમેન્ટ મેનેજમેન્ટને વિદ્યાર્થીઓ મળવા પણ મુશ્કેલ બની શકે છે.

