ગુજરાત સરકારે 1998 બેચના 4 આઇએએસ અધિકારીઓને અગ્ર સચિવ પદે 2010ની બેચના નવ અધિકારીઓને સિલેક્શન ગ્રેડ બઢતીના હુકમો કર્યા છે. ભૂપેન્દ્ર પટેલની નવી સરકાર આવ્યા બાદ તેમણે સામાન્ય વહીવટ વિભાગને અધિકારીઓના પ્રમોશનની પ્રક્રિયા ઝડપી કરવાનો હુકમ કર્યો હતો, તેને લઇને બઢતી માટે ડિપાર્ટમેન્ટલ પ્રમોશન કમિટીએ ફટાફટ તમામ નિર્ણય લઇ લીધો હતાં.
અગ્ર સચિવપદે પ્રમોશન પામનારા અધિકારીઓમાં પાણી પુરવઠા વિભાગના સચિવ ધનંજય દ્વિવેદી, અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના સચિવ મોહમ્મદ શાહીદ, આદિજાતિ વિકાસ વિભાગના સચિવ ડો. એસ મુરલીક્રિષ્ન અને જીએસપીસીએલના એમડી સંજીવ કુમારનો સમાવેશ થાય છે. જ્યારે સિલેક્શન ગ્રેડમાં બઢતી અપાયેલાં અધિકારીઓમાં બનાસકાંઠા કલેક્ટર આનંદ પટેલ, અરવલ્લી કલેક્ટર નરેન્દ્ર મીણા, ક્લાઇમેટ ચેન્જ વિભાગના સંયુક્ત સચિવ બી. એચ. તલાટી, જીઆઇડીસીના જોઇન્ટ એમડી બી.જી. પ્રજાપતિ, તાપી વ્યારા ડીડીઓ ડી.ડી. કાપડિયા, સહકારી મંડળીના રજિસ્ટ્રાર ધર્મેન્દ્ર શાહનો સમાવેશ થાય છે. નવી સરકાર આવતા IAS IPS જેવા અન્ય ઉચ્ચ હોદ્દાના અધિકારીઓની બદલીઓ અને પ્રમોશન થવા એ સામાન્ય બાબત બની ગઈ છે. ત્યારે હવે પ્રમોશન બાદ આ અધિકારી તેમના કામોમાં પણ બદલાવ લાવશે કે નહીં તે જોવાનું રહ્યું.

