સંકેત પંડ્યા – એડિટર
પાંડેસરા પોલીસ સ્ટેશનની હદ વિસ્તાર ખાતે આવેલી અમીઝરા રેસીડેન્સીમાં ગત રવિવારે રાત્રે તસ્કરો ત્રાટક્યા હતા અને એક સાથે 6 મકાનોના તાળા તોડી લાખોની મત્તાની ચોરી કરી પલાયન થઈ ગયા હતા. સોસાયટીના 6 મકાનમાં રહેતા રહીશો લગ્ન પ્રસંગમાં ગયા હતા ત્યારે તસ્કરોએ તેમના બંધ મકાનોને નિશાન બનાવ્યા હતા..
સુરતના પાંડેસરા પોલીસ મથક હદ વિસ્તારમાં મકાનમાંથી ચોરી થઈ હોવાની જાણ થતા એક પરિવાર તાત્કાલિક સુરત દોડી આવ્યું હતુ અને ચોરીની ફરીયાદ નોંધાવી હતી. બનાવ અંગે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પાંડેસરા વડોદ બમરોલી ગામ રોડ ખાતે આવેલી અમીઝરા રેસીડેન્સી સોસાયટીમાં રહેતા ભરતભાઈ કાંતીભાઈ પટેલ ટેક્ષટાઈલના ધંધા સાથે સંકળાયેલા છે.
તેઓ સંબંધીને ત્યાં લગ્ન પ્રસંગમાં હાજરી આપવા માટે પરિવાર સાથે વતન ગયા હતા.તેમના પાડોશમાં રહેતા અન્ય 5 પાડોશીઓ પણ અલગ અલગ લગ્ન પ્રસંગમાં હાજરી આપવા માટે પરિવાર સાથે વતન ગયા છે. દરમિયાન ભરતભાઈ અને તેમના પાડોશીઓ સહિતના 6 બંધ મકાનોનો તસ્કરોએ રવિવારે રાત્રે નિશાન બનાવ્યા હતા.
મકાનોના તાળા તોડી તસ્કરો ભરતભાઈના મકાનમાંથી રૂ.93 હજારની કીમતના સોનાચાંદીના દાગીનાની ચોરી કરી તેમજ તેમની પાડોશમાં રહેતા પરિવારોના મકાનોમાંથી પણ રોકડ અને દાગીના સહિતની ચોરી કરી પલાયન થઈ ગયા હતા. આ કેસમાં પાંડેસરા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

