સંકેત પંડ્યા – એડિટર
બારડોલી : સુરત જિલ્લાના કડોદરા નજીક હનુમાન મંદિરની સામે નેશનલ હાઇવે નંબર 48 પર રસ્તો ક્રોસ કરી રહેલા આધેડનું ટ્રકની અડફેટે મોત નીપજયું હતું. પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
આ અંગે મળતી માહિતી અનુસાર કામરેજ તાલુકાનાં ઊંભેળ ગામે આનંદનગરમાં રહેતા નરેન્દ્રભાઈ ઠાકોરભાઈ પાઠક એકલા જ રહેતા હતા. તેઓ બુધવારના રોજ પલસાણા તાલુકાનાં કડોદરા ખાતે ગયા હતા. સાંજના સમયે કડોદરાના અકળા મુખી હનુમાન મંદિરની સામેથી પસાર થતો નેશનલ હાઇવે નંબર 48 પર મુંબઈથી અમદાવાદ જતાં રોડ પર બ્રિજના છેડા પાસે રસ્તો ક્રોસ કરતાં હતા. તે સમયે મુંબઈ થી અમદાવાદ તરફ પૂરઝડપે જતી ટ્રકે નરેન્દ્ર ભાઈ પાઠકને અડફેટમાં લેતા તેઓ નીચે પટકાયા હતા. તેમના માથા પરથી ટ્રકનું વ્હીલ ફરી જતાં સ્થળ પર જ મોત થયું હતું. અકસ્માત બાદ મૃતકના ભત્રીજા શૈલેષ હરીશભાઇ પાઠકે કડોદરા જી. આઇ. ડી. સી. પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

