સંકેત પંડ્યા – એડિટર
કોરોના મહામારી બાદ આ વર્ષે ગુજરાતમાં આજે વિજયાદશમીનો પર્વ ધૂમધામથી ઉજવવામા આવશે. વિજયાદશમીના દિવસે મીઠાઈ, ફરસાણ આરોગી લોકો પર્વની ઉજવણી કરે છે. ખાસ કરીને ફરસાણ અને તેમા પણ ફાફડા જલેબી પર લોકો આ દિવસે ઉમટી પડે છે. જો કે આ વર્ષે મોંઘવારીની અસર વિજયાદશમીના પર્વ પર પણ પડી છે. ગત વર્ષની સરખામણીએ ફાફડા અને જલેબીના ભાવમાં 20થી 30 ટકાનો વધારો જોવા મળ્યો છે.
આ વર્ષે ગત વર્ષની સરખામણીએ મીઠાઈ- ફરસાણના ભાવ 20 થી 30 ટકા વધ્યા છે. આ પાછળનુ કારણ તેલના ભાવમાં થયેલો તગડો વધારો માનવામા આવી રહ્યો છે. આ વર્ષે બજારમાં ફાફડા 650થી 800 અને જલેબી 700થી 960ના કિલોના ભાવ છે. શહેરોમા સવાર સવારમા લોકોની લાઇનો ફરસાણની દુકાન પર જોવા મળી રહી છે. અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત, જામનગર સહિતના તમામ શેરોમા ફાફડા-જલેબી પર લોકો તુટી પડ્યા છે. લોકો એડવાન્સમાં પણ ઓર્ડર આપી રહ્યા છે.
રાજકોટમાં 500 રૂપિયાથી માંડીને 10 હાજર સુધીની મીઠાઈ વહેંચાઈ રહી છે. બીજી તરફ વાત કરીએ વડોદરાની તો ફાફડા જલેબીમાં ચાલુ વર્ષે એક કિલોએ 30 રૂપિયાનો વધારો કરાયો છે જે પછી ફાફડાનો એક કિલોના 480 રૂ,જ્યારે ઘીની જલેબી એક કિલોના 560 ભાવ છે. આ ઉપરાંત સુરતમાં સફેદ ગુલાબી અને બ્લૂ રંગનો રાવણ બનાવાયો છે જેનું રામલીલા સમિતિ દ્વારા દહન કરવામાં આવશે. આ સિવાય જામનગરમા સિંધી સમાજ દ્વારા આવતીકાલે પ્રણામી શાળા પાસેના મેદાનમાં પરંપરાગત રીતે વિજયા દશમી મહોત્સવની ઉજવણી કરવામાં આવશે.

