સંકેત પંડ્યા – એડિટર
રાજયપાલ આચાર્ય દેવવ્રતે અમદાવાદ ખાતે ભારતીય વાયુ સેનાની ૯૦મી વર્ષ ગાંઠ નિમિત્તે ઇન્ડિયન એર ફોર્સના હેડ ક્વાર્ટર સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડ દ્વારા ‘ Know Your Air Force’ થીમ પર આયોજીત પ્રદર્શનને ખુલ્લુ મૂક્યું હતું.
આ પ્રદર્શન યોજવાનો ઉદ્દેશ્ય ગુજરાતના યુવાનોને કારકિર્દી તરીકે ઇન્ડિયન એર ફોર્સમાં જોડાવવા અને ગુજરાતના લોકોને ભારતીય વાયુસેનાની ભૂમિકા અને તેના કાર્યોથી પરિચિત તેમજ પ્રેરિત કરવાનો છે.
આ પ્રદર્શનમાં ભારતીય વાયુસેનાની શક્તિ જેમ કે એરક્રાફ્ટ, મિસાઇલ, વેપનનરી સિસ્ટમ, રડાર વગેરેનું પ્રદર્શન જોવા મળશે.
આ પ્રદર્શનના પ્રથમ દિવસે એરફોર્સ બેન્ડ દ્વારા ભારતીય વાયુ સેનાના ગૌરવશાળી ઇતિહાસને સંગીતના માધ્યમથી પ્રસ્તુત કરવામાં આવ્યો હતો. ત્રણ દિવસ સુધી ચાલનારા આ પ્રદર્શનમાં એરફોર્સ બેન્ડ દ્વારા વિવિધ પરફોર્મન્સ પણ યોજાશે.
આ અવસરે ભારતીય સેનાના એર ઓફિસર કમાન્ડ ઈન ચીફ એર માર્શલ વિક્રમસિંહ તરફથી રાજ્યપાલને માનદ ચિન્હ એનાયત કરવામાં આવ્યું હતું.
આ પ્રદર્શન સામાન્ય જનતા અને મુલાકાતીઓ માટે ૦૨ અને ૦૩ ઓક્ટોબર ૨૦૨૨ દરમિયાન સવારના ૧૦.૦૦ થી સાંજે ૬.૦૦ વાગ્યા સુધી અમદાવાદનાં એર કાર્ગો રોડ પર આવેલા કોમ્યુનિકેશન ફ્લાઈટ ખાતે ખુલ્લું રહેશે.
આ અવસરે એર ઓફિસર કમાન્ડિંગ ઈન ચીફ એર માર્શલ શ્રી વિક્રમસિંહ, એર વાઇસ માર્શલ રોહિત માહાજન, ભારતીય વાયુ સેનાના ઓફિસર્સ તેમજ એન.સી.સી. કેડેટ હાજર રહ્યાં હતાં.

