વડોદરાને પોતાની કર્મભૂમિ બનાવનાર આજીવન શિક્ષક શ્રી શંકરલાલ ત્રિવેદી પોતાના જીવનના અમૃતવર્ષમાં પણ શિક્ષણ સેવા પ્રવૃત્તિમાં નિરંતર કાર્યરત છે. મહીસાગર જિલ્લાના મહીકાંઠા વિસ્તારના નાના વડદલા ગામમાં જન્મેલા શ્રી ત્રિવેદીએ પોતાનું પ્રાથમિક શિક્ષણ નાના વડદલા પ્રાથમિક શાળામાંથી મેળવ્યું હતું. ત્યારબાદ વડોદરામાં માધ્યમિક શિક્ષણ પૂર્ણ કરી, પ્રાથમિક શિક્ષકની નોકરી સાથે એમ. એસ. યુનિવર્સિટીમાંથી B.A., B.Ed. ની પદવી મેળવી માધ્યમિક શિક્ષક તરીકે સેવાઓ આપી હતી.
માધ્યમિક શિક્ષક બન્યા ત્યારથી જ તેમણે ગરીબ અને જરૂરિયાતમંદ બાળકોને શૈક્ષણિક સાધનો આપવાની સેવાયાત્રા શરૂ કરી હતી, જે આજે પણ અવિરતપણે ચાલી રહી છે. છેલ્લા એક દાયકાથી તેઓ પોતાના વતનની શાળાઓમાં નિયમિતપણે શૈક્ષણિક કીટનું વિતરણ કરીને શિક્ષણના પ્રચાર-પ્રસારનો આનંદ મેળવે છે.
આ સેવાકાર્યના ભાગરૂપે તા. ૧૮/૦૮/૨૦૨૬ ના રોજ તેમણે પોતાની માતૃસંસ્થા નાના વડદલા પ્રાથમિક શાળાના બાલવાટિકા તેમજ ધોરણ ૧ થી ૮ ના તમામ વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ અર્પણ કરી હતી. આ ઉપરાંત મોટા વડદલા પ્રાથમિક શાળાના બાલવાટિકા અને ધોરણ ૧ થી ૫ ના બાળકોને પણ શૈક્ષણિક સાધનો પૂરા પાડવામાં આવ્યા હતા.
આ પ્રેરણાદાયી કાર્યમાં તેમના ધર્મપત્ની શ્રીમતી દેવિલાબેન ત્રિવેદી પણ સાથે રહ્યા હતા, જેઓ પોતે પણ નાના વડદલા શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીની છે.

શાળા પરિવાર પ્રત્યેના આ અનોખા પ્રેમ અને યોગદાન બદલ નાના વડદલા શાળાના આચાર્ય શ્રી પ્રકાશભાઈ પ્રજાપતિ, શિક્ષકગણ તેમજ વાલીઓએ બંને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું મોમેન્ટો અને શાલ ઓઢાડીને ભાવભીનું સન્માન કર્યું હતું. ઉપસ્થિત સૌ ગ્રામજનો અને શિક્ષકોએ ત્રિવેદી દંપતીના આ સરાહનીય કાર્યને બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા.

