
સંકેત પંડ્યા – સબ એડિટર, ગોધરા.
બનાસકાંઠાના નડાબેટ (Nadabet ) ખાતે બીએસએફના (BSF) પ્રથમ અત્યાધુનિક પ્રોજેક્ટ ‘સીમાદર્શન પ્રોજેક્ટ’નું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Home Minister Amit Shah) અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) ના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું.રાજ્યમાં હવેથી ભારત-પાક બોર્ડર બનાસકાંઠાના નડાબેટ ખાતે પણ વાઘા-અટારી બોર્ડર (wagah attari border) જેવો નજારો જોવા મળશે. ગુજરાતના લોકોએ હવે વાઘા-અટારી બોર્ડર પર જવાની જરૂર નહીં પડે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે નડાબેટ પહોંચી નડેશ્વરી માતાના પણ દર્શન કર્યા.ત્યાર બાદ અમિત શાહ બીએસએફના જવાનોનો બીટિંગ રિટ્રીટ સમારોહને પણ નિહાળશે.
નડાબેટને ટુરિઝમ તરીકે વિકસાવવામાં આવ્યો
તમને જણાવી દઈએ કે નડાબેટ ખાતે નડેશ્વરી માતાજીના દર્શનાર્થે ભક્તો અને સહેલાણીઓ આવે છે અને ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સીમા જીરો પોઇન્ટની મુલાકાત લે છે..આથી નડાબેટ ટુરિઝમ તરીકે વિકસાવવામાં આવ્યો છે. ભારત-પાકિસ્તાન બોર્ડરની નજીક આ વિશાળ પોઈન્ટ ઉભો કરવા માટે BSF અને રાજ્યના R&B વિભાગે પણ ગુજરાત ટુરિઝમ ડિપાર્ટમેન્ટની મદદ કરી છે.સીમાદર્શન ખાતે ફર્નિચર અને ઇન્ટિરિયર વર્ક સાથે 3 આગમન પ્લાઝા-વિશ્રામ સ્થળ, પાર્કિંગ, 500 લોકો માટેની બેઠક ક્ષમતા ધરાવતું ઓડિટોરિયમ, ચેન્જિંગ રૂમ, સોવેનિયર શોપ, 22 દુકાનો અને રેસ્ટોરન્ટ્સ, ‘સરહદગાથા’ પ્રદર્શન કેન્દ્ર અને મ્યૂઝિયમ, ડેકોરેટિવ લાઇટિંગ, સોલાર ટ્રી તેમજ સોલાર રૂફટોપની સુવિધાઓ વિકસિત કરાઈ છે. આ ઉપરાંત, રિટેનિંગ વોલ, બીએસએફ બેરેક તથા પીવાના પાણી અને ટોયલેટ બ્લોકની સુવિધાઓ, 5000 લોકોની ક્ષમતાવાળું પરેડ ગ્રાઉન્ડ, એક્ઝિબિશન સેન્ટર, પાર્કિંગ સુવિધા, સાઉન્ડ સિસ્ટમ, બાળકોને રમવા માટે વિવિધ પ્રવૃત્તિઓ, બીએસએફના જવાનો માટે રોકાણની સુવિધા અને સરહદ સુરક્ષાની વિશિષ્ટ પ્રતિકૃતિ સમાન ગેટનું નિર્માણ કરાયું છે.
સૈનિકોની સ્મૃતિમાં ‘અજય પ્રહરી’ સ્મારકનું કરાયું નિર્માણ
દેશની રક્ષા કાજે પોતાના પ્રાણોની આહૂતિ આપનાર વીર સૈનિકોની સ્મૃતિમાં ‘અજય પ્રહરી’ સ્મારકનું નિર્માણ કરાયું છે તેમજ 40 ફૂટની ઊંચાઈ પર ત્રિરંગો લહેરાવવામાં આવ્યો છે. આ ઉપરાંત, પ્રવાસીઓ ભારત-પાકિસ્તાન બોર્ડરનો નજારો જોવાનો રોમાંચક અનુભવ પણ કરી શકે તે માટે બીએસએફ દ્વારા બીટિંગ રિટ્રીટ સમારોહનો પણ આરંભ કરાયો છે. જવાનોના શૌર્યથી ભરપૂર દ્રશ્યોને જોઇને પ્રવાસીઓના દિલમાં જવાનો પ્રત્યે અનોખા ગર્વ અને શ્રદ્ધાની લાગણી પેદા થશે.પ્રવાસીઓને નડાબેટમાં ભારતીય સેના અને બીએસએફના હથિયારો જેવા કે, જમીનથી જમીન પર અને જમીનથી હવામાં વાર કરનારી મિસાઇલ્સ, ટી-55 ટેંક, આર્ટિલરી ગન, ટોરપીડો, વિંગ ડ્રોપ ટેંક તથા મિગ-27 એરક્રાફ્ટને જોઇ શકે તેવી વ્યવસ્થાનો પણ પ્રારંભ કરાયો છે. નડાબેટ સીમાદર્શન પ્રોજેક્ટ દેશમાં બીએસએફનો પ્રથમ અત્યાધુનિક પ્રોજેક્ટ છે, જે બીએસએફના ઉદભવ, વિકાસ અને યુદ્ધોમાં તેની ભૂમિકા તેમજ સિદ્ધિઓ સહિત દેશ માટે સર્વોચ્ચ બલિદાન આપનારા વીરોની ગૌરવગાથાઓનું સચિત્ર દર્શન કરાવશે.

