ફતેપુરા શબ્બીરભાઈ સુનેલવાલા
ફતેપુરા રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આંગણવાડી કેન્દ્રોને વધુ સુદ્રઢ, સુરક્ષિત અને આધુનિક બનાવવાના હેતુથી ૧૬ જાન્યુઆરીથી ૧૬ ફેબ્રુઆરી દરમિયાન સમગ્ર રાજ્યમાં ‘આંગણવાડી નવીનીકરણ ઝુંબેશ’ હાથ ધરવામાં આવી છે. જિલ્લા વિકાસ અધિકારી શ્રી સ્મિત લોઢાના માર્ગદર્શન હેઠળ ફતેપુરા તાલુકાની ઘટક-૧ ની વાંદરિયા-૧ નાનીચરોલી અને બારસલેડા આગંણવાડી કેન્દ્રોનું નવિનીકરણ કરવામાં આવ્યું છે આ કેન્દ્રોમાં છતની મરામત, દિવાલોનું રંગરોગાન, ફ્લોરિંગ સુધારણા તથા બાળકો માટે અનુકુળ, આનંદદાયક તથા આકર્ષક માહોલ ઉભો કરવા રંગીન ભીંત ચિત્રો બનાવવામાં આવ્યા. ઉપરાંત પીવાના પાણી અને સ્વચ્છતા ની સુવિધાઓને પણ વધુ સુદૃઢ બનાવવામાં આવી.ભૂલકાઓને વધુ સુવિધાપૂર્ણ નંદઘરો મળે એ માટે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે સૂચનાઓ આપી હતી. જેને અનુસંધાને રાજ્યભરના નંદઘરોનું નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે.આંગણવાડીની અંદર બહાર સ્વચ્છતા જળવાય રહે તે ઉપરાંત આંગણવાડી વધુ સુવિધાયુકત અને આકર્ષક બને તે હેતુસર માળખાકીય સુવિધાઓનું સુદ્રઢીકરણ, નાનું મોટું સમારકામ, રંગરોગાન, ભીંતચિત્રો, તથા અન્ય સુવિધાઓ ઉભી કરવામાં આવી રહી છે. દાહોદ જિલ્લામાં રાજ્ય સરકાર દ્વારા ફાળવાયેલ ગ્રાન્ટ, સીએસઆર, લોકભાગીદારીમાં આવરી લીધેલ હોય ઉકત કેન્દ્રોમાં કામગીરી હાથ ધરવામાં આવી છે.
દાહોદ જિલ્લા વિકાસ અધિકારીશ્રી સ્મિત લોઢા,અને જિલ્લા પ્રોગ્રામ અધિકારી શ્રી ઈરાબેન ચૌહાણના સીધા માર્ગદર્શન હેઠળ આ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. વહીવટી તંત્રનો નિર્ધાર છે કે નિર્ધારિત સમયમર્યાદામાં આ કામગીરી પૂર્ણ કરી જિલ્લાના બાળકોને સુસજ્જ, સુરક્ષિત અને સુવિધાયુક્ત આંગણવાડી કેન્દ્રોની ભેટ આપવામાં આવે, જેથી ICDS અંતર્ગત મળતી આરોગ્ય અને પોષણની સેવાઓ વધુ અસરકારક બની શકે.

