ફતેપુરા શબ્બીરભાઈ સુનેલવાલા
ફતેપુરાના છાલોરમાં દીપડાએ દેખા દેતા ફોરેસ્ટ ખાતાએ પાંજરા મૂક્યા હતા પરંતુ ઝડપાયો ન હતોફતેપુરા સુખસર તથા ફતેપુરા તાલુકામાં જંગલોનો નાશ થતાં વન્યજીવો ખોરાકની શોધમાં માનવ વસ્તી તરફ ઘસી આવવાના કિસ્સાઓ વધતા જઈ રહ્યા છે.ખાસ કરીને જંગલી ભૂંડ તથા દીપડા જેવા હિંસક પ્રાણીઓ માણસો તથા પશુઓ ઉપર જીવલેણ હુમલા કરવાના બનાવો બનતા રહે છે. અગાઉ પણ દીપડા જેવા હિંસક પ્રાણી દ્વારા બકરાનુ મારણ કરેલ હોવાના કિસ્સા પ્રકાશમાં આવેલ છે.જ્યારે જંગલી ભૂંડ દ્વારા ખેડૂતોની ખેતી ભેલાણ કરી મોટું નુકસાન પહોંચાડી રહ્યા હોવાની ફરિયાદો પણ ઉઠવા પામી હતી.ત્યારે હાલમાં બુધવાર રાત્રિના આપ તળાઈ ગામે દીપડાએ ત્રણ બકરાઓનું મરણ કરતાં ગામમાં ભયનો માહોલ ફેલાઈ જવા પામેલ હોવાનું જાણવા મળે છે.
જાણવા મળેલી વિગતો મુજબ એકાદ માસ આગાઉ સુખસર તાલુકાના લખણપુરના માતા ફળિયા ખાતે દીપડો મકાઈના ખેતરમાં જોવા મળતા તેને પકડવા ફોરેસ્ટના કર્મચારીઓ સહિત પોલીસ ખાતું સ્થળ ઉપર પહોંચ્યું હતું.પરંતુ દીપડો ચકમો આપી જંગલ તરફ ભાગી ગયો હતો.ત્યારબાદ ફતેપુરા તાલુકાના છાલોર ગામે ગત બે દિવસ અગાઉ દીપડાએ મકાઈના ખેતરમાં દેખા દેતા તેની જાણ ફતેપુરા ફોરેસ્ટ કચેરીમાં કરવામાં આવી હતી.જેથી ફોરેસ્ટના કર્મચારીઓ છાલોર ગામે જઈ તપાસ કરતા દીપડો મકાઈના ખેતરમાં હોવાનું જણાઇ આવતા દીપડાને પકડવા પાંજરા મુકવામાં આવ્યા હતા.પરંતુ દિપડો સમય સૂચકતા વાપરી મકાઈના ખેતરમાંથી નીકળી ભાગી ગયો હતો. ત્યારબાદ બુધવાર રાત્રિના આપ તળાઈ ગામે રહેતા સુરતાબેન બાબુભાઈ કટારાના ઓના મકાનમાં બાંધેલા બકરાઓ ઉપર દીપડો ત્રાટક્યો હતો અને એક બકરો તથા બે બકરીના મારણ કરી ભાગી ગયો હતો. જેથી 15 થી 20 હજાર રૂપિયાનું નુકસાન પહોંચવા પામેલ હોવાનું જાણવા મળે છે.ફતેપુરા વિસ્તારના છાલોર,આપતળાઇ જેવા ગ્રામ્ય વિસ્તારોમાં દીપડો ફરતો હોવાની વહેતી થયેલી ચર્ચાથી ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે જંગલ વિસ્તારમાંથી માનવ વસ્તી તરફ ઘસી આવતા હિંસક પ્રાણી એવા દીપડાને ઝડપી લઇ તેને યોગ્ય સ્થળે ખસેડવામાં આવે તેવી સ્થાનિકોમાં માંગ ઉઠવા પામેલ છે.

